Safeer News

Breaking News from Ahmedabad

દેશ

૧ એપ્રિલથી LPG સિલિન્ડર પર ૩૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે

PMUY સાથે સંબંધિત ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન એલપીજી સિલિન્ડર પર ૩૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળતું રહેશે

નવીદિલ્હી,તા.૩૦
નવું નાણાકીય વર્ષ ૧લી એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યું છે. નાણાકીય વર્ષના પ્રથમ દિવસથી ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આવો જ એક નિયમ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) સાથે સંબંધિત છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન એલપીજી સિલિન્ડર પર ૩૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળતું રહેશે.

તમને જણાવી દઈએ કે, આ સબસિડી મુક્તિ ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી હતી, પરંતુ તાજેતરમાં જ સરકારે આ રાહતને ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી લંબાવી છે. આ નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસ એટલે કે, ૧ એપ્રિલ ૨૦૨૪થી અમલમાં આવશે. તમને જણાવી દઈએ કે, લાભાર્થી વર્ગને વર્ષમાં ૧૨ રિફિલ આપવામાં આવે છે. આ અંતર્ગત ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડર પર ૩૦૦ રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. સબસિડી લાયક લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. આ રીતે ઉજ્જવલા લાભાર્થીઓને સામાન્ય ગ્રાહકો કરતાં ૩૦૦ રૂપિયા સસ્તા સિલિન્ડર મળે છે.

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે સરકારનો કુલ ખર્ચ ૧૨,૦૦૦ કરોડ રૂપિયા રહેશે. ગ્રામીણ અને વંચિત ગરીબ પરિવારોને ધ્યાનમાં રાખીને સરકારે મે ૨૦૧૬માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી હતી. આ યોજનામાં ૧ માર્ચ, ૨૦૨૪ સુધી ૧૦.૨૭ કરોડથી વધુ લાભાર્થીઓ છે. તમને જણાવી દઈએ કે, ભારત તેની LPG જરૂરિયાતના લગભગ ૬૦ ટકા આયાત કરે છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના ગ્રાહકોનો સરેરાશ LPG વપરાશ ૨૯ ટકા વધીને ૨૦૧૯-૨૦માં ૩.૦૧ રિફિલ્સના પ્રમાણમાં ૨૦૨૩-૨૪ (જાન્યુઆરી ૨૦૨૪ સુધીમાં) માટે ૩.૮૭ રિફિલ થયો છે.

૮ માર્ચે મહિલા દિવસના અવસર પર કેન્દ્ર સરકારે એલપીજી સિલિન્ડર ૧૦૦ રૂપિયા સસ્તું કર્યું હતું. આ ડિસ્કાઉન્ટ સાથે હવે દેશની રાજધાની દિલ્હીમાં LPG સિલિન્ડર ૮૦૩ રૂપિયામાં મળે છે.

 

(જી.એન.એસ)