Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

હમાસ-ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં ભારતીય કર્મચારીનું મૃત્યુ થયું, ૭ માર્ચની સાંજે મૃતદેહ ભારત મોકલવામાં આવ્યો

લેબનોનમાં હમાસ-ઈઝરાયેલ વચ્ચે અને ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદથી સતત હુમલા થઈ રહ્યા છે.

લેબનોન,તા.૦૮
હમાસ-ઈઝરાયેલ યુદ્ધ શરૂ થયા બાદથી લેબનોન પણ ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે. તાજેતરમાં, ઇઝરાયેલ પર હુમલામાં એક ભારતીય કર્મચારીનું મોત થયું હતું, જેનો મૃતદેહ ૭ માર્ચની સાંજે ભારત મોકલવામાં આવ્યો હતો. હુમલામાં માર્યા ગયેલા કર્મચારીની ઓળખ પટનીબિન મેક્સવેલ તરીકે થઈ છે, જે કેરળના કોલ્લમના રહેવાસી હતા. તેમની ઉંમર માત્ર ૩૦ વર્ષની હતી. મેક્સવેલ સવારે ૧૧ વાગ્યાની આસપાસ ઇઝરાયેલના ઉત્તરમાં ગેલિલી પ્રદેશમાં મોશાવ (સામૂહિક ખેતી સમુદાય) માર્ગલિયોટમાં એક વાવેતર પર કામ કરી રહ્યો હતો જ્યારે લેબનોનમાંથી છોડવામાં આવેલી એન્ટિ-ટેન્ક મિસાઇલ દ્વારા તેનું મૃત્યુ થયું હતું.

૭ માર્ચની સાંજે વિદાય સમારંભમાં ઇઝરાયેલના આંતરિક મંત્રી મોશે આર્બેલ, વસ્તી અને ઇમિગ્રેશન ઓથોરિટી (PIBA)ના મહાનિર્દેશક, ઇઝરાયેલના વિદેશ મંત્રાલયના અધિકારીઓ અને ભારતીય દૂતાવાસના વરિષ્ઠ રાજદ્વારીઓએ હાજરી આપી હતી. આ સાથે, ભારતમાં ઇઝરાયેલના વર્તમાન રાજદૂત નાઓર ગિલોને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે કે,@IsraelMFA, કૃષિ મંત્રાલયનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ, જેનું નેતૃત્વ ગૃહ પ્રધાન, મોશે આર્બેલ અને તેમના વરિષ્ઠ હતા. ટીમ, પટનીબિન મેક્સવેલને આદર આપવા માટે મળી હતી. અવશેષોને એર ઈન્ડિયાની ફ્લાઈટ AI ૧૪૦ દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા હતા, ત્યાંથી તેમને તિરુવનંતપુરમ મોકલવામાં આવશે.

લેબનોનના હિઝબુલ્લાના હુમલામાં અન્ય સાત લોકો ઘાયલ થયા છે. આ ઘાયલ લોકોમાં ૨ ભારતીય છે, જેઓ કેરળના છે. આ બંનેની ઓળખ વાજાથોપના રહેવાસી ૩૧ વર્ષીય બુશ જાેસેફ જ્યોર્જ અને વાગામોનના રહેવાસી ૨૮ વર્ષીય પોલ મેલ્વિન તરીકે થઈ છે. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, જ્યોર્જને તેના ચહેરા અને શરીર પર ઈજાઓ થઈ હતી, ત્યારબાદ તેને પેતાહ ટિકવાની બેલિન્સન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, હવે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તે હવે પોતાના પરિવારના સભ્યો સાથે વાત કરી શકશે. આ સિવાય મેલ્વિનને નાની-મોટી ઈજાઓ થતાં ઈઝરાયેલના સેફેડ શહેરની ઝીવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

તેલ અવીવમાં ભારતીય મિશને ઈઝરાયેલ પર હુમલાના એક દિવસ બાદ એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જારી કરીને તેના નાગરિકોને દેશના સુરક્ષિત વિસ્તારોમાં સ્થળાંતર કરવાની અપીલ કરી છે. મિશને એક એડવાઈઝરીમાં જણાવ્યું છે કે, પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને સ્થાનિક સુરક્ષા સલાહકારોને ધ્યાનમાં રાખીને, ઈઝરાયેલમાં તમામ ભારતીય નાગરિકો, ખાસ કરીને ઉત્તર અને દક્ષિણમાં સરહદી વિસ્તારોમાં કામ કરતા અથવા મુલાકાત લેતા લોકોને ઈઝરાયેલની અંદરના સુરક્ષિત વિસ્તારોમાં સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી છે અને એમ્બેસી અમારા તમામ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ઇઝરાયેલી સત્તાવાળાઓ સાથે સંપર્કમાં છે. આ એડવાઈઝરી અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી છે.

લેબનોનમાં હમાસ-ઈઝરાયેલ વચ્ચે અને ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદથી સતત હુમલા થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ, હિઝબુલ્લા ગાઝાના સમર્થનમાં દરરોજ ઈઝરાયેલ પર રોકેટ છોડે છે, જેમાં અત્યાર સુધીની માહિતી અનુસાર મેક્સવેલની સાથે ૭ નાગરિકો અને ૧૦ ઈઝરાયેલી IDF સૈનિકોના મોત થયા છે. આ સાથે હિઝબુલ્લાએ તાજેતરની હિંસા દરમિયાન ઈઝરાયેલ દ્વારા માર્યા ગયેલા ૨૨૯ સભ્યોના નામ જાહેર કર્યા છે.

 

(જી.એન.એસ)