Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

વાહન અને મોબાઈલ ચોરીની ફરિયાદ ઘેરબેઠા ઓનલાઈન થઈ શકશે

(અબરાર એહમદ અલવી)

ગાંધીનગર,

દેશના નાગરિકોને આપવામાં આવતી ઓનલાઈન સેવામાં વધારો કરવા ગુજરાત સરકાર દ્વારા વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ મારફતે નાગરિકોના વિશાળ હિતમાં E-FIRની સુવિધા આપવાનો જનકલ્યાણલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે તેમ રાજ્ય સરકારના ગૃહ વિભાગની યાદીમાં જણાવાયું છે.

E-FIRની આ સુવિધા ફક્ત તેવા સંજોગોમાં જ મેળવી શકાશે કે જેમાં આરોપી અજ્ઞાત હોય તથા ઘટના દરમિયાન બળનો ઉપયોગ ન થયો હોય કે ઈજા ન પહોંચી હોય. ચોક્કસ સમય મર્યાદામાં E-FIRની પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ તેમાં તથ્ય જણાય તો તેવી ફરિયાદ FIRમાં રૂપાંતરિત કરવામાં આવશે.

E-FIR સુવિધાની કાર્યપ્રણાલી અંગે યાદીમાં જણાવાયું છે કે, ફરિયાદીએ સીટીઝન પોર્ટલ પર રજીસ્ટર કરાવી વાહન કે ફોન ચોરી અંગે ફરિયાદ સંદર્ભેની વિગતો ભરી ઓનલાઈન અપલોડ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતા સમયે આપવામાં આવેલ અરજીની પ્રિન્ટઆઉટ પર ફરિયાદીની સહી કર્યા બાદ એ અરજીને સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. ફરિયાદીને ઈ-મેઈલ-SMSથી ફરિયાદ અરજી મળ્યાની જાણ થશે.

E-FIR અપલોડ થયાના 72 કલાકમાં થાણા અધિકારીએ તેનો નિકાલ કરવાનો રહેશે. જો 72 કલાકમાં તેનો નિકાલ ન થાય તો પેન્ડિંગ E-FIR હોવા અંગેનો ઈ-મેલ અને SMS તુરંત જ ઉપરી પોલીસ અધિકારીઓને કરવામાં આવશે. આમ E-FIR સંદર્ભે 5 દિવસમાં આખરી નિર્ણય અંગેની કાર્યવાહી કરવામાં નહી આવે તો E-FIRને ઈ-ગુજકોપ દ્વારા FIRનો ધોરણસરનો રનીંગ નંબર આપોઆપ ફાળવવામાં આવશે અને થાણા અધિકારીએ તેની પર અન્ય સામાન્ય FIRની જેમ જ આગળની કાર્યવાહી હાથ ધરવાની રહેશે. આ ઉપરાંત E-FIR અંગે 120 કલાકની સમય મર્યાદામાં ધોરણસરની કાર્યવાહી ન કરવા બદલ પોલીસ કમિશ્નર-નાયબ પોલીસ કમિશ્નર-પોલીસ અધિક્ષક કે પોલીસ સ્ટેશનના સબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરીને તેઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ વધુમાં જણાવવામાં આવ્યું છે.

બનાવ સ્થળની વિગતમાં ફરિયાદી દ્વારા જે પોલીસ સ્ટેશનનું નામ લખવામાં આવ્યું હોય તે પોલીસ સ્ટેશનમાં E-FIR ફોરવર્ડ થશે. જો પોલીસ સ્ટેશનનું નામ ન જણાવ્યું હોય તો જે-તે પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરીએ E-FIR ફોરવર્ડ થશે અને પોલીસ કમિશ્નર/પોલીસ અધિક્ષકની કચેરી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક E-FIR મોકલી આપશે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી ઈ-ગુજકોપ્ યુઝર IDથી લોગ-ઈન કરીને પોર્ટલ વર્કલીસ્ટમાં તે E-FIR જોઇ શકશે અને કોઇ પણ સંજોગોમાં 24 કલાકની સમય મર્યાદામાં પ્રાથમિક તપાસ અર્થે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અધિકારી-કર્મચારીને મોકલવાની રહેશે. જે તે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા તપાસ અધિકારીને પ્રાથમિક તપાસ સોંપાશે ત્યારે તપાસ અધિકારી અને સાથો-સાથ ફરિયાદીને તપાસ અધિકારીને સોંપવા અંગે ઈ-મેલ અથવા SMSથી જાણ કરવામાં આવશે.

તપાસ અધિકારીને આ પ્રકારની E-FIR મળતાં સૌપ્રથમ આ E-FIRનો જરૂરી અભ્યાસ કરશે અને અપલોડ થયાના 48 કલાકની સમય મર્યાદામાં ફરિયાદીનો સંપર્ક કરી સંબંધિત દસ્તાવેજોની ખરાઇ કરશે તેમજ વાહન કે મોબાઇલ ફોન ચોરીના બનાવ સ્થળની મુલાકાત લેશે. આ સમગ્ર પ્રક્રિયા E-FIR અપલોડ થયાના 48 કલાકમાં પૂર્ણ કરીને આ અંગેનો પ્રાથમિક તપાસ અહેવાલ થાણા ઇન્ચાર્જને મોકલી આપશે. ત્યારબાદ થાણા અધિકારી આ અહેવાલ મળ્યાના 24 કલાકની સમય મર્યાદામાં E-FIRનો યોગ્ય નિકાલ કરશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *