Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

પોલીસે પોતાની છબિ સુધારવી પડશે : હર્ષ સંઘવી

પોલીસ મથકે આવેલાં વડીલને પાણીનો ગ્લાસ આપવાથી શરીર કંઈ ઘસાઈ નહીં જાય

અમદાવાદ, તા.૦૪

ગુજરાત પોલીસની છબિ સતત ખરડાઈ રહી છે. તેના માટે જવાબદાર છે પોલીસ સ્ટેશનોના પોલીસ ઈન્સપેક્ટર એટલે કે, PI અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનું પબ્લિક સાથેનું સતત ખરાબ વર્તન.

નાગરિકો પોતાની ફરિયાદ કે, અરજી લઈને પોલીસ મથકે જાય છે ત્યારે તેમને રીતસર હળધૂત કરવામાં આવે છે. તેમને ખરાં, ખોટા સવાલો કરીને પહેલાં તો હેરાન કરી દેવામાં આવે છે અને કોઈક ને કોઈક રીતે ફરિયાદ ન લેવી પડે અને કામ કાજમાંથી મૂક્તિ મળે એવા રસ્તા પોલીસ શોધતી હોય છે એ વાત સૌ કોઈ જાણે છે. પોલીસના વર્તનનો રૂબરૂ અનુભવ કરવો હોય તો અમદાવાદ સહિત ગુજરાતના કોઈપણ પોલીસ સ્ટેશનમાં જઈને થઈ શકે છે. એવું નથી કે, આ વાત સરકારના ધ્યાનમાં નથી, સરકાર પણ આ વાત જાણે જ છે. પણ હવે પીઆઈ અને પોલીસ અધિકારીઓને આ પ્રકારની ખોટી અફસરશાહી નહીં ચાલે. આ અમે નથી કહી રહ્યાં ખુદ રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ આના સ્પષ્ટ સંકેતો આપી દીધાં છે.

ગૃહ રાજ્યમંત્રીએ સીધા સંકેત આપી દીધાં છે કે, પોલીસ સ્ટેશનોના પીઆઈ, પીએસઆઈ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પબ્લિક સાથેનો વ્યવહાર સુધારે. પોલીસ અરજદારો સાથે કઈ રીતે વાત કરે છે, ખાસ કરીને કયા પોલીસ સ્ટેશનના પીઆઈનો વ્યવહાર કેવો છે તે દરેક બાબતનો સરવે કરવામાં આવી રહ્યો છે. પીઆઈ, પીએસઆઈ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના કામકાજની સાથોસાથ તેમના પબ્લિક અને ખાસ કરીને અરજદારો સાથેના વ્યવહારનો ડિટેલ રિપોર્ટ તૈયાર થશે. જેમાં કોઈપણ ચુક જણાશે અથવા જાણી જાેઈને સામાન્ય નાગરિકોને હેરાન કરવામાં આવતા હોવાનું જણાશે તો ગૃહ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવશે. આ સંકેતો ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યાં છે.

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના કયા પોલીસ સ્ટેશનમાં શું ચાલે છે ? પબ્લિક કે, ત્યાં પોતાની સમસ્યા લઈને આવતા અરજદારો સાથે કેવો વ્યવહાર અને વર્તન કરવામાં આવે છે તેની બધી જ માહિતી ગૃહ વિભાગને મળતી રહે છે. ખાસ કરીને PI, PSI‚ સહિત જેતે ઝોન અને તેનાથી ઉપરના પોલીસ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓના કામ અને તેમના નાગરિકો સાથેના વર્તનો પણ સરવે કરવામાં આવી રહ્યો છે. સરકારનો સંકેત છે કે, હવે ખોટી અપ્સરશાહી નહીં ચલાવી લેવામાં આવે. કોઈપણ સામાન્ય નાગરિક, ફરિયાદી કે, અરજદાર બનીને આવે તો જરૂરી પૂછપરછ બાદ તેની ફરિયાદ પણ અચુક પણે લેવી પડશે. ખોટા સેટિંગો અને વહીવટો પાડીને કોઈની ઓળખાણો રાખીને કે, કામમાંથી છટકબારી કરવા ફરિયાદ નહીં લેવાય તો નહીં ચાલે. જાે કોઈ પીઆઈ જાણી જાેઈને ફરિયાદ ન દાખલ કરે તો સીધા પોલીસ કમિશ્નર કચેરીએ અથવા સંબંધિત જિલ્લા એસપીની કચેરીએ આ અંગેની ફરિયાદ દાખલ કરી શકાય છે. ખાસ કરીને મહિલાઓની ફરિયાદમાં પોલીસને ત્વરિત તપાસ માટે પણ અગાઉ સંકેત આપવામાં આવેલાં છે.

હાલમાં જ અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનનું ઉદઘાટન કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પીઆઈને ખખડાવતા કહ્યું હતું કે, કયા પોલીસ સ્ટેશનમાં કેવો વ્યવહાર થાય છે તેની બધી માહિતી છે. અમે સરવે કરી રહ્યા છીએ કે, જે લોકો પોલીસ સ્ટશને ગયા હોય અને પીઆઈનો વ્યવહાર કેવો રહ્યો છે. અમને બધી જ મહિતી છે કે, કયા અધિકારીનો વ્યવહાર કેવો હોય છે. કયા પોલીસ સ્ટેશનોમાં શું ચાલે છે અમને બધી ખબર છે. જાે સીએમ કે, ગૃહમંત્રી અરજદારોને મળી શકે તો પીઆઈ કે, અધિકારીઓ કેમ નહીં. કોઈ વડીલ પોલીસ સ્ટેશનમાં આવે તો સૌથી પહેલાં તો તેની સાથે સારી રીતે વાત કરવી. અરજદાર આપણાં રાજ્યના આપણાં દેશના નાગરિક છે. તેમની સેવા કરવી એ આપણો ધર્મ અને ફરજ છે. ત્યારે કોઈ ફરિયાદ લઈને પોલીસ મથકે આવેલાં વડીલને સૌથી પહેલાં જવાન પાણીનો ગ્લાસ આપશે તો તેની તાકાત ઓછી થવાની નથી. એટલું કરવાથી કંઈ શરીર ઘસાઈ નહીં જાય. પોલીસ પ્રત્યે નાગરિકોનો અભિગમ બદલાશે તો જ પોલીસ પ્રત્યે શ્રદ્ધા વધુ મજબૂત બનશે.

ગૃહ રાજ્યમંત્રીએ પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું કે, જ્યારે કોઈપણ નવું પોલીસ સ્ટેશન બને ત્યારે આપણે સૌથી પહેલાં શું પ્રાર્થના કરતા હોઈએ છીએ. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, નવું પોલીસ સ્ટેશન બને ત્યારે આપણે ભગવાનને એવી પ્રાર્થના કરતા હોઈએ છીએ કે, ભગવાન ક્યારેય કોઈને પોલીસ સ્ટેશન જવાની જરૂર ન પડે. પણ તેમ છતાં આપણી ફરજમાં આવે છે કે, જાે કોઈએ પોલીસ સ્ટેશન જવાનું થાય ત્યારે પોલીસનો વ્યવહાર પણ સારો રહે. પોલીસે પોતાની છબિ સુધારવી પડશે.

અમદાવાદમાં શહેર કોટડા પોલીસ સ્ટેશનનું હાલમાં લોકાર્પણ કરવામાં આવ્યું તે સમયે ડીજીપી, પોલીસ કમિશ્નર અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસને આ વાત કરી હતી.

 

(GNS)