Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

અર્બન ગુજરાતી ફિલ્મના રૂપમાં આકાર લેવા જઈ રહી છે, “કનુભાઈ – ધ ગ્રેટ”…. !!!

છેલ્લા અમુક વર્ષો દરમ્યાન અર્બન ગુજરાતી ફીલ્મોના નિર્માણમાં અનેરી ક્રાંતિ આવી છે. સારા અને અનોખા વિષયો પર અર્થપૂર્ણ મનોરંજક ફિલ્મો બની રહી છે. ગુજરાતી યુવા ડાયરેક્ટર્સ અને યુવા કલાકારો ગુજરાતી સિલ્વર સ્ક્રીનને પોતાના એકસ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટના સહારે નવા આયામ બક્ષી રહ્યા છે અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એક નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે. ગુજરાતી સિનેમા ક્ષેત્રે અનોખા પ્રયોગોની નવી કેડી પર એક નવી પ્રેરણાત્મક અને મનોરંજક કથા અર્બન ગુજરાતી ફિલ્મના રૂપમાં આકાર લેવા જઈ રહી છે, જેનુ નામ છે…. “કનુભાઈ – ધ ગ્રેટ”…. !!!

“કનુભાઈ – ધ ગ્રેટ” આધારિત છે, “દિવ્યાંગોના મસીહા” તરીકે ઓળખાતા અને દિવ્યાંગો માટેની દુનિયાની સૌથી મોટી મદદગાર સંસ્થા “ડીસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા”ના સંસ્થાપક અને ભારત સરકાર દ્વારા “પદ્મશ્રી” એવોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા “ગુજરાત ગૌરવ” ઍવોર્ડથી સન્માનીત થયેલા સેવા-નાયક એવા સુરતના પદ્મશ્રી કનુભાઈ ટેઈલરના જીવનના પ્રેરણાદાયક અને રોચક પ્રસંગો પર. અહીં એ વાતની નોંધ લેવી જરૂરી છે કે, આ ફિલ્મ સંપૂર્ણ રીતે બાયોપિક નથી. કનુભાઈ ટેલરની જીવનગાથાની સાથે સાથે અમુક બીજા પાત્રો સાથે જોડાયેલી કાલ્પનિક મનોરંજક વાર્તા અને એક અનોખી લવ સ્ટોરી પણ આમાં વણાયેલી છે. જેમાં કોમેડી, રહસ્ય અને કોર્ટ રૂમ ડ્રામા પણ સામેલ છે.

બોલીવૂડમાં અનેક ટીવી શો, ફિલ્મો, અને ગીતો લખી ચુકેલા અને અર્બન ગુજરાતી ફિલ્મોમાં “હું–અત્ર તત્ર સર્વત્ર”, “વેલકમ જિંદગી”, “ફુલેકુ” જેવી ફિલ્મોનું ડાયરેક્શન કરી ચુકેલા અને લેખક તરીકે પણ ઘણી ગુજરાતી ફિલ્મો લખી ચુકેલા રાઈટર – ડિરેક્ટર અને ગીતકાર એવા મુંબઈના શ્રી ઇર્શાદ દલાલે આ ફિલ્મની કથા, પટકથા, સંવાદ, ગીતો લખ્યા છે અને ડાયરેક્શન પણ કર્યુ છે.

ફિલ્મમાં કુલ 4 ગીતો છે અને બધા ગીતો ખૂબ જ મધુર અને કર્ણપ્રિય છે. આ બધા ગીતોને જાણીતા સિંગર્સ મીત જૈન, પાર્થ ઓઝા, રમ્યા ઐયર, મિતાલી મહંત, ચેતન ફેફર અને પૂજા દવે એ પોતાનો સુરીલો કંઠ આપ્યો છે, જ્યારે આ ગીતોના મ્યુઝિક ડાયરેક્ટર છે, બોલીવૂડના ફેમસ મ્યુઝિક ડાયરેક્ટર ટીનુ અરોરા અને સુરતના પ્રતિભાશાળી સંગીતકાર જય મહંત. આ ફિલ્મના બધા જ ગીતો જાણીતી મ્યુઝિક કંપની પેનોરામા મ્યુઝિક ગુજરાતી પર રીલીઝ થઈ ચુક્યા છે.

જીવનમાંથી રસ ગુમાવીને તદ્દન નિરાશ થઈ ગયેલા લોકોનાં જીવનમાં એક નવો જ જોશ ભરી નાખનારી આ અર્થપૂર્ણ અને મનોરંજક ફિલ્મનું નિર્માણ રુદ્ર મોશન ફિલ્મ્સના બેનર હેઠળ થયુ છે અને ફિલ્મના પ્રસ્તુતકર્તા તરીકે વનરાજ સિસોદિયા ફિલ્મ્સ છે. ફિલ્મના મુખ્ય નિર્માતા ડો. મહેન્દ્રસિંહ પરમારે આ પ્રોજેક્ટનાં નિર્માણમાં કોઈ પણ જાતની બાંધછોડ નથી કરી અને સમાજમાં તથા ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે એક નવી રાહ કંડારવાની ભરપૂર કોશીશ કરી છે.
આ ફિલ્મનું સૌથી સબળ પાસુ એ છે કે, આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મો અને નાટક ક્ષેત્રે પોતાની પ્રતિભાના ડંકા વગાડી ચુકેલા અદભુત કલાકારોએ આ ફિલ્મને પોતાના બેનમૂન અભિનય દ્વારા એક નવી ઉંચાઈ બક્ષી છે. જેમા યુવાન કનુભાઈના રોલમાં ઓજસ રાવલ અને મેચ્યોર્ડ કનુભાઈના રોલમાં સુનિલ વિશ્રાણી પોતાની ઇમેજથી વિપરીત રોલ નિભાવ્યા છે. તો ફિલ્મની અંદર રહેલી કાલ્પનિક કથાના પાત્રમાં અત્યંત પ્રતિભાશાળી અભિનેતા વનરાજ સિસોદિયાએ જબરદસ્ત અભિનય કર્યો છે. ફિલ્મની મુખ્ય હીરોઈન વૈભવી જોશી છે. અને અન્ય કલાકારોમાં આયુશી ધોળકિયા, રાજીવ પંચાલ, ભૈરવી આઠવલે, પલાશ આઠવલે, મહેન્દ્રસિંહ પરમાર, ધર્મેશ જોશી, સત્યેન વર્મા, આરતી રાજપુત, મૌલિક પાઠક, દર્શ ભાનુશાળી, સત્યા પટેલ વગેરે છે.

ફિલ્મના સિનેમેટોગ્રાફર બોલીવૂડના જાણીતા કેમેરામેન વિમલ્ એસ. મિશ્રા છે જેમણે ફુલેકુ અને સતરંગી રે જેવી ગુજરાતી ફિલ્મોને પણ રુપેરી પરદે કંડારી છે. ફિલ્મના ક્રીએટીવ ડાયરેક્ટર પ્રયાસ ચૌધરી અને કોરીયોગ્રાફર પરાગ ચૌધરી છે. ફિલ્મને ગુજરાતના સુરતમાં વાસ્તવિક લોકેશન અને વડોદરામાં શૂટ કરવામાં આવી છે.

સમાજને મનોરંજનની સાથે એક અનોખો જોશભર્યો સંદેશ આપનારી આ ફિલ્મ 15 ડિસેમ્બરે સંપૂર્ણ ગુજરાતમાં રીલીઝ છે. ગુજરાતી ફિલ્મોને વધુ ને વધુ ઉંચાઈએ લઈ જવાના શુભ આશય સાથે, એક સાચા ગુજરાતી તરિકે આ ફિલ્મને જોશભેર વધાવી લઈને આપણે સૌ પણ પદમશ્રી એવોર્ડી સેવાનાયક અને દિવ્યાંગોના મસીહા શ્રી કનુભાઈ ટેલરના અનોખા અભિયાનમાં સહભાગી બનીશું તો જ શ્રી કનુભાઈ ટેલરની નિસ્વાર્થ સેવાઓને સાચી આદરાંજલી મળશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *