Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

અમારો શું વાંક અમે પરીક્ષા આપી છે, ભૂલ તમારી છે કહીને કડીની વિદ્યાર્થિની કુલપતિ સમક્ષ રડી પડી

વિદ્યાર્થીઓના હિત માટે કમિટી બનાવી , નિર્ણય લેવાશે : કુલપતિ

યુનિ. દ્વારા બી.એ સેમ. 3ના છાત્રોએ પરીક્ષા આપી હોવા છતાં ગેરહાજર દર્શાવી નાપાસ કર્યા : વિદ્યાર્થિની

ઉ.ગુ. યુનિવર્સિટી દ્વારા બી.એ સેમ. 3ના જાહેર કરેલા પરિણામમાં છાત્રો હાજર હોવા છતાં ગેરહાજર દર્શાવી સારા પેપર લખ્યા હોવા છતાં ખૂબ જ ઓછા ગુણ આપી નાપાસ કરવામાં આવ્યા હોઇ ચકાસણીમાં ભૂલ હોવાની રાવ સાથે મણિબેન એમ. પી. શાહ મહિલા આર્ટસ કૉલેજ કડીની 10 જેટલી છાત્રાઓએ કુલપતિને આવેદન પત્ર આપી તેમનું વર્ષ બગડતું હોય રડી પડી હતી અને ભારે હૈયે અમારો શું વાંક, અમે તો પરીક્ષા આપી છે. બધા પેપર ખૂબ સારા લખ્યાં છે. છતાં નાપાસ કર્યા. હવે ફરી ચકાસણી માટે કહીએ તો પૈસા ભરવાના કહે છે. અમારા પિતા સક્ષમ ન હોય અમે પૈસા ક્યાંથી લાવીએ. સત્વરે અમારી પરીક્ષાની ફરી ચકાસણી કરી સુધારા સાથે પરીણામ જાહેર કરવામાં આવે તેવી ભારે હૈયે કુલપતિ સમક્ષ રજુઆત કરતાં ઓફિસમાં એકદમ સન્નાટો છવાઈ ગયો હતો.

કુલપતિ દ્વારા આ બાબતે યોગ્ય નિણર્ય લઇ કાર્યવાહી કરવાં જણાવ્યું હતું. પરીક્ષા નિયામકે જણાવ્યુ હતુ કે, સ્નાતકમાં સેમ. 1 અને 3 તેમજ અનુસ્નાતકમાં સેમ. 1ના છાત્રોની કુલ 8 લાખ OMR સીટ દ્વારા પરીક્ષા લેવાઇ હતી. પરિક્ષામાં હાજર છતાં ગેરહાજર બતાવતા હોવાની રજુઆત હોઇ ગેરહાજર વાળી અંદાજે 60 હજાર OMR સીટ હશે. તમામનો રેકોર્ડ કાઢી કમિટી સમક્ષ મુકીશું તેનો કમિટી નિર્ણય લેશે.

કુલપતિ જે.જે.વોરાએ જણાવ્યું હતું કે, “તપાસ કરતા કેટલા કિસ્સાઓમાં વિદ્યાર્થીઓનો વાંક છે. તો પરીક્ષા દરમિયાન સુપરવાઇઝર પણ બેદરકારી દાખવતા પરિણામમાં ક્ષતિઓ આવી છે. ઓનલાઇન પરીક્ષાના સેમ. 1 અને 3ના કેટલાક પરિણામોમાં આવી ભૂલ હોવાની રજુઆત હોય એક્સપર્ટની કમિટી બનાવી તમામ છાત્રો માટે એક સરખો નિર્ણય લેવામાં આવશે.”

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *