અમદાવાદ,તા.૧૮
દિવાળી બાદ કોરોનાનાં કેસો વધતાં સરકાર અને લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો અને તાબડતોડ નાઈટ કરફ્યુ સહિતનાં પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા હતા. જે બાદ કોરોનાનાં કેસોમાં ઘટાડો જાેવા મળ્યો છે. પણ હવે ચૂંટણી અને લગ્ન પ્રસંગો આવતાં જ લોકો કોરોનાને ભૂલી ગયા છે. ચૂંટણીઓની રેલીમાં અને લગ્નના મેળાવડાંઓના કારણે ફેબ્રુઆરી તથા માર્ચ મહિના દરમિયાન કોરોનાનાં કેસો વધવાની દહેશત સેવાઈ રહી છે.
લગ્ન પ્રસંગમાં હવે સરકારે ૨૦૦ લોકોને મંજૂરી આપી છે. કોરોનાના કેસો નિયંત્રિત થતાં લોકોના મેળાવડાનું પ્રમાણ વધી જવા પામ્યું છે. એટલું જ નહી આ મેળાવડામાં માસ્ક પણ લોકો નથી પહેરી રહ્યા. લોકોની બેદરકારીને કારણે કોરોનાનાં કેસો વધી શકે છે. કેસો ઘટી રહ્યા હોવાનું જાણીને લોકો બિન્દાસ બનતાં જાય છે. હોટેલ-રેસ્ટોરાંમાં લોકોની ભીડ થવા લાગી છે. માસ્ક પહેરવા મુદ્દે લોકોની બેદરકારી તથા સામાજિક અંતર ન જાળવવાના કારણે કોરોનાનાં કેસો વધવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
માર્ચ સુધીમાં ફરીથી કોરોના બેકાબૂ થવાની દહેશત સેવાઈ રહી છે. કારણ કે લગ્નના મેળાવડાઓ ઉપરાંત હવે ચૂંટણીને લઈને રાજકીય મેળાવડા શરૂ થયા છે. ચૂંટણીની જાહેર સભાઓ અને રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. તેમાં પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડી રહ્યા છે. આ સ્થિતિએ કોરોના બેકાબૂ થાય તો નવાઈ નહીં. તબીબોએ પણ ચૂંટણીમાં થઈ રહેલી સભાઓ, સરઘસ, મેળાવડાઓને લઈને કોરોના વકરવાની દહેશત વ્યક્ત કરી છે.
ગુજરાતના મુખ્યમંત્રી, સાંસદ વિનોદ ચાવડા તથા પ્રદેશ મોવડી ભીખુ દલસાણીયા કોરોના પોઝિટિવ છે. આ સ્થિતિએ કોરોનાનું વધતું જાેખમ નજર સમક્ષ દેખાઈ રહ્યું છે. છતાં સરકાર જબરદસ્તી ગાણું ગાઈ રહી છે કે કોરોનાનાં કેસોનું જાેખમ ઘટી રહ્યું છે. જે આશ્ચર્ય સર્જે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here