Safeer News

Breaking News from Ahmedabad

દેશ

ભ્રામક જાહેરાત મુદ્દે રામદેવે માફી માંગતા સુપ્રીમ કોર્ટે કહ્યું,”આ માફી સ્વીકાર્ય નથી”

સુપ્રીમ કોર્ટે રામદેવના વકીલને કહ્યું કે, તમારી પાસે અહીં દલીલ કરવા માટે કોઈ સ્થાન નથી.

નવીદિલ્હી,તા.૦૨
યોગ ગુરુ રામદેવ અને પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણ ભ્રામક જાહેરાતોના કેસમાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. બાબા રામદેવ વતી હાજર રહેલા એડવોકેટ બલબીરે કહ્યું કે, ભવિષ્યમાં આવું નહીં થાય. અગાઉ થયેલી ભૂલ માટે માફી માગો. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, માત્ર સુપ્રીમ કોર્ટ જ નહીં પરંતુ દેશની કોઈપણ કોર્ટના આદેશનું ઉલ્લંઘન ન થવું જાેઈએ.

કોર્ટે પતંજલિની માફી સ્વીકારી ન હતી. કોર્ટે કહ્યું કે, તમે શું કર્યું છે તેની તમને કોઈ અંદાજ પણ નથી. અમે અવમાનનાની કાર્યવાહી કરીશું. આ કેસની વધુ સુનાવણી ૧૦ એપ્રિલે થશે. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને કોર્ટમાં હાજર રહેવું પડશે. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચ સમક્ષ આ સુનાવણી થઈ હતી.

કોર્ટે ૧૯ માર્ચે રામદેવ અને બાલકૃષ્ણને પતંજલિ આયુર્વેદ ઉત્પાદનોની જાહેરાતો અને તેની ઔષધીય અસરો સંબંધિત તિરસ્કારની કાર્યવાહીમાં વ્યક્તિગત રીતે હાજર થવા જણાવ્યું હતું. બેન્ચે કંપની અને બાલકૃષ્ણને અગાઉ જારી કરાયેલી કોર્ટની નોટિસનો જવાબ ન દાખલ કરવા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું કે, અગાઉ જે થયું તે અંગે તમે શું કહેશો..? બાબા રામદેવ વતી હાજર રહેલા વકીલે કહ્યું કે, ભવિષ્યમાં આવું નહીં થાય. અગાઉ થયેલી ભૂલ માટે માફી માંગી. તેના પર કોર્ટે કહ્યું કે, તમે ગંભીર મુદ્દાઓની મજાક ઉડાવી છે. કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવાથી શું પરિણામ આવે છે તે તમારે શોધવું જાેઈએ. સુપ્રીમ કોર્ટે રામદેવના વકીલને કહ્યું કે, તમારી પાસે અહીં દલીલ કરવા માટે કોઈ સ્થાન નથી. આતો અહીં મંજુરી આપવામાં આવી છે બાકી અવમાનના કેસમાં દલીલનો વિકલ્પ ન હોય, જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું જે પણ પહેલા થયું હતું. વકીલે જણાવ્યું કે, બાબા રામદેવ અને બાલકૃષ્ણ કોર્ટમાં હાજર છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, શું એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. કોર્ટે કહ્યું કે, અમે અગાઉ કંપની અને એમ.ડીને જવાબ દાખલ કરવા કહ્યું હતું. જ્યારે જવાબ દાખલ કરવામાં આવ્યો ન હતો, ત્યારે અવમાનનાની નોટિસ આપવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમારી તરફથી ખાતરી આપવામાં આવી હતી અને પછી તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ દેશની સૌથી મોટી અદાલતનું અપમાન છે અને હવે તમે માફી માગી રહ્યા છો. આ અમને સ્વીકાર્ય નથી. જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું કે, તમે અહીં ખાતરી આપો અને પછી પ્રેસ કોન્ફરન્સ કરો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમારું મીડિયા વિભાગ તમારાથી અલગ નથી, તમે આવું કેમ કર્યું. નવેમ્બરમાં તમને ચેતવણી આપવામાં આવી હતી, છતાં તમે પ્રેસ કોન્ફરન્સ કરી..? સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તે બાબા રામદેવના જવાબથી સંતુષ્ટ નથી. કોર્ટે કહ્યું કે, અમે તિરસ્કારની કાર્યવાહી કરીશું. રામદેવના વકીલે કહ્યું કે, અમે બિનશરતી માફી માંગી છે. કોર્ટે કહ્યું કે, તમે કારણ જણાવો કે, ઉલ્લંઘન કેવી રીતે થયું. કોર્ટે કહ્યું કે આ ગંભીર મામલો છે. અમે તમારી માફી સ્વીકારતા નથી.

 

(જી.એન.એસ)