Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

તિલકવાડાનાં વાડિયા ગામમાં વાછરડીને દીપડાએ ફાડી ખાતા ગ્રામજનોમાં ભય

થોડા દિવસ પહેલા રોઝાનાર તથા વંઢ ગામમાં દીપડાએ પાડીનો શિકાર કરવાની ઘટના બની હતી અને દાજીપુરા ગામે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યાની ઘટના બાદ હાલની એક વધુ બેનલી ઘટનાથી દહેશતનો માહોલ ફેલાયો છે

સાજીદ સૈયદ, નર્મદા

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના હુમલાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે હિંસક પ્રાણીને લઇ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 
તાજેતરમાં તિલકવાડા તાલુકાના વાડિયા કાલાઘોડા ગામે મોડી રાત્રિએ  દીપડાએ ઘર નજીક બાંધેલી વાછરડીને ફાડી ખાધી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આગળના સમયમાં આવી ઘટના ન બને તે માટે ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજરું મુકીને આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

હાલ થોડા સમય પહેલા રોઝાનાર ગામે અને ત્યારબાદ વંઢ ગામે દીપડાએ પાડીનો શિકાર કરવાની ઘટના બની હતી. ત્યારબાદ દાજીપુરા ગામે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યાની પણ ઘટના બની હતી. હાલ વધુ એક ઘટના સામે આવી છે જ્યાં તિલકવાડા તાલુકાના વાડિયા (કાલાઘોડા) ગામે રહેતા ઉકેડભાઈ શંકરભાઈ બારીયા જેઓ ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેઓના ઘર નજીક બાંધેલી એક વર્ષીય વાછરડીને ગત રાત્રિના સમય દરમિયાન દીપડાએ શિકાર કરીને ફાડી ખાધી હતી.

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દીપડો જોવા મળતા લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ વિસ્તાર એવો છે જ્યાં ખેડૂતો ખેતી કરતા હોય છે અને દિવસ હોય કે, રાત ખેડૂતોને ખેતરમાં અવર જવર કરવી પડે છે. આ ઘટનાને પગલે આ વિસ્તારના લોકોમાં ડર જોવા મળ્યો છે માટે ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજરું મુકીને આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *