Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાતમાં ૨૪ કલાકમાં હાર્ટએટેકથી ૮ લોકોનાં મોતથી હાહાકાર

ગરબા રમતા-રમતા જ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા, મોતનો રાફડો ફાટ્યો

સુરતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આંકડો કહે છે કે, ૧૫ દિવસમાં ૧૦ હાર્ટ એટેક મોતના બનાવો છે.

અમદાવાદ,૨૧
ગુજરાતમા હવે કોરોના કરતા વધુ ડર હાર્ટએટેકથી લાગી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હાર્ટએટેકથી મોતનો રાફડો ફાટ્યો છે. ખાસ બાબત તો એ છે કે, યુવાઓને હાર્ટએટેક આવી રહ્યો છે. ત્યારે આવું કેમ થઈ રહ્યું છે તે જાણવામાં તબીબો લાગ્યા હતા. ત્યારે હવે આનું સાચુ કારણ મળી ગયું છે.

નિષ્ણાતોના મતે આ કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ અને શરીરમાં પ્લેક ફાટવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. હાલ ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં જ ૮ લોકોના હાર્ટ અટેકના કારણે મૃત્યુ થયા છે. જેમાં ગરબા રમતા રમતા ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે, તો બે લોકોના ફરજ દરમિયાન મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ, અમદાવાદ, કપડવંજ, હાલાર, સુરતમાં હાર્ટએટેકથી મોતના કિસ્સા બન્યા છે.

ગુજરાતમાં દિવસે ને દિવસે હાર્ટ-એટેકના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૮ લોકોનાં હૃદય બંધ પડી ગયાં છે. સુરતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આંકડો કહે છે કે, ૧૫ દિવસમાં ૧૦ હાર્ટ એટેક મોતના બનાવો છે. સુરત શહેરમાં સતત બીજા દિવસે બે યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યા છે. આ આંકડા ફક્ત સિવિલ હોસ્પિટલના છે. ખાનગી હોસ્પિટલના આંકડા ખૂબ જ ચોંકાવનારા હોઈ શકે છે.

ખેડાના કપડવંજમાં ગરબા રમતા ૧૭ વર્ષીય કિશોરનું ગરબા રમતા હાર્ટએટેક આવ્યો હતો. હાર્ટ એટેક દરમિયાન ૧૭ વર્ષીય કિશોરનું મૃત્યુ થયું છે. નવરાત્રિના છઠ્ઠા નોરતાએ કપડવંજમાં વીર શાહ નામનો કિશોર ગરબા રમી રહ્યો હતો, ત્યારે એકાએક તેના નાકમાંથી બ્લીડીંગ થયું હતું. જેના બાદ કિશોરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ હાજર ડૉક્ટરે કિશોરને મૃત જાહેર કર્યો હતો. શારીરીક રીતે સ્વસ્થ ૧૭ વર્ષીય કિશોરને ગરબા રમતા હાર્ટએટેકથી મોત થતા પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો છે.

ડભોઇમાં પણ હાર્ટ એટેકની ઘટના બની છે. ૧૩ વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત થયું છે. વૈભવ સોની નામના ૧૩ વર્ષના બાળકને ઉલટી આવ્યા બાદ હાર્ટ બંધ થયુ હતું. વૈભવ ધોરણ ૬માં અભ્યાસ કરતો હતો. તે બે દિવસ ગરબા ગ્રાઉન્ડમાં ગરબા રમ્યો હતો. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ૨૮ વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. ભાદર ૨ ડેમના પાટિયામાં સમારકામ કરતાં ૨૮ વર્ષીય મજૂરનું હાર્ટએટેકથી મોત થયું છે. આ યુવક ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાનો વતની હોવાની માહિતી સામે આવી છે. હાર્ટએટેકથી આશુકુમાર દિનેશભાઈ સોનકાર નામના ૨૮ વર્ષીય પરપ્રાંતિય મજુરનું મોત થયું છે. ડેમના પાટિયા સમારકામ કામ કરતી વખતે યુવક અચાનક ઢળી પડ્યો હતો. આ બનાવ બન્યા બાદ આ યુવકને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. તબીબ દ્વારા રાત્રે પીએમ કર્યા બાદ હાર્ટ એટેકથી યુવકનું મોત થયું હોવાનું જણાવ્યું છે.

યુવાનોમાં સતત હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. રાજકોટમાં હાર્ટ એકેટના કારણે ૪૪ વર્ષીય બિલ્ડરનું મોત નિપજ્યું છે. રૈયા રોડ પર આવેલા અમૃતા પાર્ક સોસાયટીમાં રહેતા જયેશ ઝાલાવડિયાને તેમના ઘરમાં જ હાર્ટએટેક આવ્યો હતો. સવારે ૭ વાગ્યે ઘરે બેભાન હાલતમાં પડી ગયા હતા અને બાદમાં હોસ્પિટલ ખસેડતા તબીબે મૃત જાહેર કર્યા હતા.

અમદાવાદ શહેરમાં ગરબા દરમિયાન મોત નિપજ્યાનો પહેલો બનાવ સામે આવ્યો છે. ગરબા રમવા દરમિયાન હાર્ટ એટેક આવતા યુવાનનું મોત નિપજ્યું છે. વટવામાં રહેતો રવિ પંચાલ હાથીજણમાં વૃંદાવન પાર્ટી પ્લોટમાં ગરબા રમવા ગયો હતો. ગુરુવારના રોજ ગરબા દરમિયાન ૧૨ વાગ્યાની આસપાસ રવિ પંચાલને અચાનક છાતીમાં દુખાવો થતાં એમ્બ્યુલન્સમાં લઈ જાય તે પહેલાં જ તેનું મોત નિપજ્યુ હતુ. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મોતનો ગુનો દાખલ કરાયો છે.

નવસારી જિલ્લામાં નવરાત્રિ દરમિયાન હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે. ગરબા રમીને આવ્યા બાદ વિજલપોરના મૃણાલ શુક્લાનું ગુરુવારે રાતે એટેકથી મોત નિપજ્યુ છે. ગરબા રમીને આવ્યા બાદ મૃણાલને છાતીમાં દુઃખાવો ઉપડયો હતો, સારવાર મળે એ પૂર્વે મોત થઇ ગયું હતું. નવસારી જિલ્લામાં છેલ્લા ૬ મહિનામાં બે વિદ્યાર્થીઓ સહિત ૫ લોકોએ હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હ્રદયરોગ હુમલાના કારણે બેના મોત થયા છે. જામ ખંભાળીયાના મોટા આંબલા ગામના અમીતભાઇ સંઘાર નામના ૩૧ વર્ષના યુવાનનું હાર્ટએટેક આવતા મોત નિપજ્યું છે. તો જામ ખંભાળીયાના રામનગર વિસ્તારમાં રહેતા રવજીભાઈ કણજારીયા નામના ૭૨ વર્ષના પ્રોઢને હાર્ટએટેક આવતા મોત નિપજ્યું છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *