Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૯૦મું અંગદાન, ૨૦ મહિનામાં ૯૦ વ્યક્તિઓના અંગદાન

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, સિવિલ હોસ્પિટલને રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી ડિસેમ્બર ૨૦૨૦માં મળી હતી

અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં ૨૦ મહિનામાં ૯૦ વ્યક્તિઓના અંગદાનથી ૨૬૧ લોકોને નવજીવન મળ્યું છે. ડિસેમ્બર ૨૦૨૦માં અંગોના રીટ્રાઇવલની મંજૂરી મળ્યા બાદ ૨૬મી ડિસેમ્બરે હોસ્પિટલમાં પ્રથમ વખત અંગદાન થયું હતુ. સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં ફક્ત ૭ અંગદાનના કિસ્સા નોંધાયા હતા. 

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીની ટીમના નેતૃત્વમાં સિવિલ હોસ્પિટલમાં ફક્ત ૧૧ મહિનામાં ૮૩ અંગદાન થયા છે. જે હોસ્પિટલના તબીબોની કર્તવ્યનિષ્ઠા અને ઇચ્છાશક્તિથી જનકલ્યાણનું જવલંત ઉદાહરણ છે. 

એક જ દિવસમાં બે અંગદાન થયાના સિવિલ હોસ્પિટલમાં ૧૦ જેટલા કિસ્સા નોંધાયા છે. અત્રે નોંધનીય છે કે, એક વ્યક્તિના અંગોના રીટ્રાઇવલમાં ૫થી ૭ કલાક જેટલો સમય લાગતો હોય છે અને એક અંગના ટ્રાન્સપ્લાન્ટમાં પણ ૭ કલાક જેટલો સમય. 

સિવિલ હોસ્પિટલમાં ગઇકાલે થયેલ બે અંગદાનની વિગતો જોઇએ તો, મહિસાગર જિલ્લાના ૩૭ વર્ષીય પરેશકુમાર ડામોરને માર્ગ અકસ્માત સાંપડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓ બ્રેઇનડેડ જાહેર કરાતા પરિવારજનોના અંગદાનના નિર્ણયથી તેમની બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. 

જેને જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. 

જ્યારે ૯૦માં અંગદાનની વિગતમાં અરવલ્લીના નટુભાઇ બરંડા કે જેઓની ઉમ્ર ૫૨ વર્ષની હતી. તેમને માથાના ભાગમાં હેમરેજ થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ૨૫મી ઓગસ્ટે સધન સારવારના અંતે તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરતા તેમના પણ બે કિડનીનું સફળતાપૂર્ણ દાન મળ્યું છે. 

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, સિવિલ હોસ્પિટલને રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી ડિસેમ્બર ૨૦૨૦માં મળી હતી. સરકારી હોસ્પિટલમાં રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળ્યાના આટલા ટૂંકા ગાળામાં ૯૦ અંગદાન થકી ૨૬૧ જેટલા લોકોને નવજીવન આપતી સંભવિત પ્રથમ હોસ્પિટલ છે. 

સિવિલ હોસ્પિટલની અંગદાન સાથે સંકળાયેલી ટીમ અને SOTTO (State Organ and Tissue Transplant Oranisation) ટીમના સુગમ્ય સમન્વય અને સધન કામગીરીના પરિણામે જ અંગદાન ક્ષેત્રે આ સિધ્ધી હાંસલ થઇ છે. 

જીવથી જીવ બચાવવાના આ સેવાયજ્ઞમાં અમારી હોસ્પિટલમાં તબીબો સંપૂર્ણપણે નિષ્ઠાપૂર્ણ દિવસ-રાત કાર્યરત રહે છે. રીટ્રાઇવલથી લઇ ટ્રાન્સપ્લાન્ટ સુધીની પ્રક્રિયા ખૂબ જ જટીલ અને સંવેદનશીલ છે. તદ્ઉપરાંત તબીબોની મહેનત રંગ લાવી છે અને આ પરિણામ મળ્યું છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *