Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

વડનગરમાં એશિયાનું અવ્વલ નંબરનું એક્સપિરિયન્સ મ્યુઝિયમ બનશે

૨૮૦૦ વર્ષથી અત્યાર સુધીના ઇતિહાસની ઝાંખી આ મ્યુઝિયમ કરાવશે

મહેસાણા,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું માદરે વતન વડનગર ઐતિહાસિક નગરી તરીકે આખી દુનિયામાં જાણીતું છે. ત્યારે હવે તેની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાવા જઈ રહયું છે.

વાત વડનગરમાં આકાર લઈ રહેલા દુનિયાના સૌથી મોટા બીજા નંબરના મ્યુઝિયમની છે. આ એશિયાનું સૌપ્રથમ એક્સપિરિયન્સ મ્યુઝિયમ હશે. જેમાં આવીને પ્રવાસીઓ ૨૮૦૦ વર્ષ પહેલાં માનવી કેવું જીવન જીવતા હતા તેનો લાઈવ અનુભવ કરી શકશે. આ મ્યુઝિયમની કામગીરી ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે. વડનગર શહેર સાત કાળનું સાક્ષી રહ્યું છે. એટલે આ મ્યુઝિયમમાં ખોદકામ દરમિયાન મળી આવેલા પ્રાચીન અવશેષોને રાખવામાં આવશે. ખોદકામ દરમિયાન મળેલા સાત કાળના જુદા-જુદા પૌરાણિક અવશેષોને અલગ-અલગ ફ્લોર પર રાખવામાં આવશે.

વડનગર સહિત દેશને ૨૧ મીટર ઊંચા અને ૩૨૬ પિલર પર ઉભા થનારા એશિયાના પ્રથમ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. અમરથોળ દરવાજા નજીક ૧૩૫૨૫ સ્કેવર ફૂટ એરિયામાં કરોડોના ખર્ચે બનનારા મ્યૂઝિયમમાં ૨૫૦ ટન લોખંડ વપરાશે. અહીં કારીગરો રાત-દિવસ કામગીરી કરી રહ્યા છે.

વડનગરના ૨૮૦૦ વર્ષથી અત્યાર સુધીના ઇતિહાસની ઝાંખી આ મ્યુઝિયમ કરાવશે. આ નગરીમાં એક યા બીજાનો વસવાટ રહ્યો છે, ક્યારેય ધ્વંસ થયો નથી એટલે પ્રાચીનકાળથી અત્યાર સુધીની જીવનઝાંખીને આવરી લેવાશે. આ ઉપરાંત વડનગરમાંથી નીકળેલા પ્રાચીન અવશેષો અહીં સંગ્રહિત કરાશે, જ્યાં પર્યટકો નિહાળી શકશે.

 

(જી.એન.એસ)