Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદના માંડલમાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ ૧૭થી વઘુ દર્દીઓને દેખાતું બંધ થઇ ગયું

તમામ દર્દીઑ સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદ જિલ્લાના

અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં પાંચ દર્દીઓને ખસેડવામાં આવ્યા છે. જેમાં ૩ મહિલાઓ અને ૨ પુરૂષોને હાલ સિવિલ આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


અમદાવાદ,
અમદાવાદ ગ્રામ્યમાં આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. માંડલમાં આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનમાં ગંભીર બેદરકારી સામે આવી છે. મોતિયાના ઓપરેશન બાદ ૧૭થી વઘુ દર્દીઓને આડઅસર થઈ છે. ૧૮ લોકોના મોતિયાના ઓપરેશન કરવામા આવ્યા હતા. ઓપરેશન બાદ ૫ લોકોને આંખની વધુ તકલીફો થઈ હતી. તમામ દર્દીઑ સુરેન્દ્રનગર પાટણ અને અમદાવાદ જિલ્લાના છે. ૫થી વધુ દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

માંડલ ખાતેની ટ્રસ્ટની હોસ્પિટલમાં ૧૭ દર્દીઓ સારવાર હેઠળ છે. દર્દીઓને આંખથી દેખાતુ ન હોવાની ફરિયાદ ઉઠી છે. સિવિલ હોસ્પીટલના આંખના તબીબો માંડલ ખાતે પહોંચ્યા છે. માંડલમાં આવેલ રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ દર્દીઓની રોશનીને અસર થઈ હતી.

અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં પાંચ દર્દીઓને ખસેડવામાં આવ્યા છે. જેમાં ૩ મહિલાઓ અને ૨ પુરૂષોને હાલ સિવિલ આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ તમામ દર્દીઓની સારવાર શરૂ કરવામા આવી છે. તબીબોના મત અનુસાર મોતીયાના ઓપરેશન બાદ નાખવામાં આવતા ટીપાંના કારણે રોશનીને અસર થઈ હોવાની આશંકા છે. ૫ દર્દીઓની ઉંમર ૫૦ વર્ષથી વધુની હોવાનું સામે આવ્યું છે.

ગત મોડી સાંજે ૫ થી ૮ના સમયગાળામાં દર્દીઓને દાખલ કરાયા હતા. તમામ દર્દીઓને ઓપરેશન બાદ એક જ આંખમાં રોશનીની અસર થઈ છે. સારવાર બાદ યોગ્ય સમાન્ય દ્રષ્ટિ થવાની શક્યતા પણ હોવાનું તબીબો કહી રહ્યાં છે.

આ ઘટનાની જાણ થતા જ ગાંધીનગર આરોગ્ય વિભાગના પબ્લિક હેલ્થના ડાયરેક્ટર ડો.નિલમ પટેલે માહિતી આપી કે, માંડલ ખાતે ટ્રસ્ટની ઓફિસમા ઓપરેશન થતા હોય છે. અમદાવાદમાં કાલે પાંચ દર્દીઓને લવાયા હતા. હોસ્પિટલમાંથી અમને આવુ થયુ હોવાની જાણ કરાઇ હતી. ગઈકાલે જ અમે ડોક્ટર અને અધિકારીઓને સ્થળ પર મોકલ્યા હતા. અન્ય ૧૨ દર્દીઓ પર ત્યા સારવાર માટે દાખલ કરાયા છે. હાલ રેટેના સ્પેશ્યાલિસટ, આખના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અમે ત્યાં મોકલી દીધા છે. કુલ ૧૦૩ લોકોના ઓપરેશન થયા હતા. ૩ તારીખ પછી જે પણ દર્દીઓના ઓપરેશન થયા છે એ દરેકની અમે ચકાસણી કરીશું. બધા દર્દીઓની આવી કોઈ ફરીયાદ નથી, છતાં સલામતી માટે ચકાસણી કરીશું. પ્રાથમિક તારણ માટે ટીમ આજે ત્યાં મોકલી દેવાઈ છે. ઈંફેક્શન લાગવાનુ કોઈ કારણ હોઈ શકે છે, છતા રીપોર્ટ પર આધાર છે. નવી સુચના ન મળે ત્યા સુધી ત્યાં કોઈ આંખના ઓપરેશન ન કરવા સુચના આપી દેવાઈ છે.