Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

રાજપીપળા સિવિલ હોસ્પિટલનો ICU વોર્ડ મરણપથારીએ..! ઇન્ટેનસિવ કેર યુનિટ કે, જનરલ વોર્ડ..?

આઇસીયુ વિભાગ એટલે 24×7 કલાકની સેવા હોય પરંતુ અહીંયા તો ફુલ ટાઇમ ડોકટર નથી, નર્સિંગ સ્ટાફના ભરોસે ગાડું ગબડે છે

ચારથી પાંચ ફિઝિશિયન ડોકટરો અને પાંચથી છ જેવા જુનિયર ડોકટરો હોવા છતાં આઇસીયુ વોર્ડમાં એક જ રાઉન્ડ વાગે છે

આઇસીયુ વોર્ડમાં નજર કરતા જોવા મળ્યું કે, દાખલ દર્દીના સગા સંબંધીઓ દર્દી સાથે બેડ પર બેઠેલા કે, ત્યાં વોર્ડમાં ફરતાં હોય છે માટે આ આઇસીયુ વોર્ડ છે કે, જનરલ વોર્ડ તેવા સવાલ પણ ઉઠ્યા છે.

સાજીદ સૈયદ, નર્મદા
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં અનેક તકલીફો સામે આવે છે છતાં તેમાં કોઈ જ સુધારો વધારો થતો નથી રાજકીય નેતાઓ પણ માત્ર આશ્વાશન જ આપતા જોવા મળે છે. તેવામાં હોસ્પિટલનો મહત્વનો વિભાગ એટલે આઇ.સી.યુ. વોર્ડ કે, જ્યાં ગંભીર દર્દીઓને રાખવામાં આવે અને તેમાં 24×7 કલાકની સેવા મળે છે. પરંતુ આ હોસ્પિટલનો આઈ.સી.યુ. વોર્ડ જાણે નર્સિંગ સ્ટાફનાં ભરોસે જ ચાલતો જણાય છે. કેમ કે, અહીંયા એકવાર ડોકટર રાઉન્ડ મારી જાય છે ત્યારબાદ કોઈ ફરકતું નથી.

નર્સિંગ સ્ટાફ પણ અપૂરતો છે જાણવા મળ્યા મુજબ એક મહિનામાં અંદાજે 80 જેવા દર્દીઓ આઇસીયુ (ICU) વોર્ડમાં દાખલ થાય છે પરંતુ સવારે એકવાર ડોકટર રાઉન્ડ મારીને ગયા બાદ આખો દિવસ નર્સિંગ સ્ટાફ જ ત્યાં જોવા મળે છે તો આઇસીયુ નો મતલબ શું..? આઇસીયુ વોર્ડમાં નજર કરતા જોવા મળ્યું કે, દાખલ દર્દીના સગા સંબંધીઓ દર્દી સાથે બેડ પર બેઠેલા કે, ત્યાં વોર્ડમાં ફરતાં હોય છે માટે આ આઇસીયુ વોર્ડ છે કે, જનરલ વોર્ડ તેવા સવાલ પણ ઉઠ્યા છે.

આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ હોવાથી અહીંયા હાલમાં ચારથી પાંચ ફિઝિશિયન ડોકટરો અને પાચથી છ જેવા જુનિયર ડોકટરો છે. પરંતુ આટલા ડોકટરો હોવા છતાં આઇસીયુ વોર્ડમાં એક જ રાઉન્ડ વાગે છે. એ આશ્ચર્યની અને ગંભીર વાત છે. જાણવા મળ્યા મુજબ આખી હોસ્પિટલ જુનિયર ડોકટરોનાં ભરોસે ચાલે છે.

તજજ્ઞો ઓપીડી સમય બાદ જોવા નથી મળતા તો આ મુદ્દે હોસ્પિટલના વડા કોઈ પગલા લે અને આઇસીયુ વોર્ડનો સાચો મતલબ સાર્થક કરે તેવી માંગ છે. જો કે, આ બાબતે અમે હોસ્પિટલના આર.એમ.ઓ ડૉ. શર્મા મેડમ સાથે ટેલીફોનીક વાત કરી તો તેમણે કહ્યું કે, ફિઝિશિયન ડોકટર ફૂલ ટાઈમ નથી અમે માંગણી કરી છે. પરંતુ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ હોવાથી અહીંયા ફૂલ ટાઈમ ફિઝિશિયન ના મળે તેમ પણ જાણવા મળ્યું છે. ખેર જે સ્થિતિ હશે એ પરંતુ સિવિલ સત્તાધીશો આઇસીયુ વોર્ડનો સાચો મતલબ સાર્થક કરે તો દર્દીઓના હિતમાં કહેવાશે.

     

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *