Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

રથયાત્રા જે વિસ્તારોમાંથી પસાર થાય છે ત્યાં કરફ્યુ અમલમાં રહેશે : રથયાત્રાને શરતી મંજૂરી

અમદાવાદ,

હાલમાં કોરોનાના કેસમાં થઈ રહેલા સતત ઘટાડા વચ્ચે સરકારે આ વર્ષે અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા માટે મંજૂરી આપી દીધી છે. જો કે, આ વર્ષે નીકળનારી 144મી રથયાત્રામાં માત્ર પાંચ વાહનો અને ત્રણ રથ સિવાય બીજું કંઈ નહીં હોય. 24 કિમી જેટલા લાંબા રુટને આ રથયાત્રા 4-5 કલાકમાં જ કવર કરીને નિજ મંદિર પરત ફરશે. આ વખતે સરકારે રથયાત્રાની શોભા સમાન ગણાતા હાથી, ભજન મંડળી તેમજ અખાડાને ભાગ લેવાની મનાઈ ફરમાવી દીધી છે.

આ મામલે જાણકારી આપતા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રથયાત્રા પહેલા યોજાનારી મંગળા આરતીમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ભાગ લેશે. જે વિસ્તારોમાંથી રથયાત્રા નીકળવાની છે, તે વિસ્તારોમાં આવતા પોલીસ સ્ટેશનોની હદમાં સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી કરફ્યુનું પાલન કરાવવામાં આવશે.

આ ઉપરાંત, જે ખલાસીભાઈઓ રથ ખેંચવાના છે તેમનો RTPCR ટેસ્ટ કરવામાં આવશે, અને તેમના માટે વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લેવાનું પણ ફરજિયાત કરાયું છે. આ વખતે ભગવાનના મામાના ઘર એટલે કે સરસપુરમાં ભક્તોને બપોરનું ભોજન પણ નહીં કરાવાય. જો આ પ્રોટોકોલનો ભંગ થયો તો જે-તે વ્યક્તિ સામે સખ્ત પગલાં લેવાશે તેવું પણ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, લોકોની આસ્થાનું જતન થાય તે માટે આ વખતે કોરોનાકાળમાં પણ રથયાત્રાને મંજૂરી અપાઈ છે, પરંતુ રથયાત્રામાં કોરોનાનો પ્રસાર ના થાય તે વાતનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. રથયાત્રાના દિવસે અમદાવાદના તમામ એન્ટ્રી પોઈન્ટ્સ પર બેરિકેટર્સ ગોઠવી દેવાશે અને આસપાસના શહેરો-ગામડાંમાંથી રથયાત્રા જોવા આવતા લોકોને અટકાવાશે. રથયાત્રા દરમિયાન સાબરમતી નદી પરના તમામ પુલો પર વાહનોની અવરજવર નિયંત્રિત રહેશે. આ ઉપરાંત, આ વખતે AMCની કચેરી સહિત રથોને ક્યાંય અટકાવવામાં નહીં આવે. જેવી રથયાત્રા પરત ફરે કે તરત જ કરફ્યુ ઉઠાવી લેવાશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *