Safeer News

Breaking News from Ahmedabad

દેશ

ચિકનમાંથી બનાવેલ શાવર્મા ખાવાથી ૧૯ વર્ષના છોકરાનું મોત

આ કેસમાં પોલીસે દુકાનદાર આનંદ કાંબલે અને મોહમ્મદ અહેમદ રઝાની ધરપકડ કરી છે. આ સિવાય શાવર્માના સેમ્પલ પણ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

મુંબઈ,તા. ૮
મુંબઈના મહારાષ્ટ્ર નગરમાં ચિકનમાંથી બનાવેલ શાવર્મા ખાવાથી ૧૯ વર્ષના છોકરાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ઘણા બાળકોની તબિયત લથડી હતી પરંતુ સારવાર બાદ, હાલ તે સ્વસ્થ છે.

આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી દુકાનદારની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસ ઝોન-૬ના ડીસીપી હેમરાજ રાજપૂતના જણાવ્યા અનુસાર, ૧૯ વર્ષીય પ્રથમેશ ભોકસેએ ટ્રોમ્બે પોલીસ સ્ટેશનની હદમાં આવતા મહારાષ્ટ્ર નગરમાં ૩ મેના રોજ સાંજે લગભગ ૬ વાગ્યે શાવર્મા ખાધું હતું. બીજા દિવસે ૪ મેના રોજ સવારે ૭ વાગે તેને પેટમાં દુઃખાવો અને ઉલ્ટીની ફરિયાદ શરૂ થઈ હતી. પરિવારના સભ્યોએ પહેલા પ્રથમેશને નજીકના ડોક્ટરને બતાવ્યો. ડોક્ટરની દવાથી થોડી રાહત થતાં તે ઘરે આવ્યો. આ પછી તેણે આખો દિવસ કંઈ ખાધું નહીં. ૫ મેના રોજ સવારે ૮ વાગ્યાથી પ્રથમેશને ફરીથી પેટમાં દુખાવો, ઉલ્ટી અને ઝાડા થવા લાગ્યા. ત્યારબાદ પરિવારના સભ્યોએ તેને KEM હોસ્પિટલમાં બતાવ્યો, જ્યાં ડોક્ટરે પ્રથમેશની સારવાર કરીને તેને ઘરે પરત મોકલી દીધો.

પરંતુ સાંજથી પ્રથમેશને ફરીથી તકલીફ થવા લાગી, જેથી પીડિતને ફરીથી KEM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. બગડતી હાલત જોઈને ડોક્ટરે દર્દીને દાખલ કર્યો. ડોક્ટરની સારવાર બાદ પણ પ્રથમેશની હાલતમાં કોઈ સુધારો થયો ન હતો અને ૭ મેના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ પ્રથમેશનું મોત નીપજ્યું હતું. આ કેસમાં પોલીસે દુકાનદાર આનંદ કાંબલે અને મોહમ્મદ અહેમદ રઝાની ધરપકડ કરી છે. આ સિવાય શાવર્માના સેમ્પલ પણ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

પ્રારંભિક તપાસ મુજબ, બગડેલા ચિકનમાંથી બનાવેલ શાવર્મા ખાધા બાદ પ્રથમેશની તબિયત બગડી હતી અને પછી તેનું મૃત્યુ થયું હતું. આ મામલે આઈપીસીની કલમ ૩૦૪, ૩૩૬, ૨૭૩/૩૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

 

(જી.એન.એસ)