Safeer News

Breaking News from Ahmedabad

દેશ

પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ખોટો પોલીસ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો, જે ક્રૂરતાના દાયરામાં આવે છે : બોમ્બે હાઇકોર્ટ

મહિલા દ્વારા તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ અનેક બનાવટી ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

મુંબઈ,તા. ૧
બોમ્બે હાઈકોર્ટે ફેમિલી કોર્ટ દ્વારા દંપતીને આપેલા છૂટાછેડાનાઆદેશને બાજુ પર રાખવાનો ઇનકાર કર્યો છે. આ કેસમાં કોર્ટે એમ પણ કહ્યું છે કે, પતિ અને સાસરિયાઓ સામે જુઠ્ઠાણાનો ઉપયોગ કરીને કેસ દાખલ કરવો ક્રૂરતાના દાયરામાં આવે છે.

વાસ્તવમાં એક મહિલા દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજીમાં મહિલાએ તેના વૈવાહિક અધિકારો પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી. આ સિવાય ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા છૂટાછેડાના આદેશને પણ પડકારવામાં આવ્યો હતો. મહિલાના પતિએ દાવો કર્યો હતો કે, બંનેના લગ્ન ૨૦૦૪માં થયા હતા અને ત્યારબાદ બંને ૨૦૧૨ સુધી સાથે રહ્યા હતા. ૨૦૧૨માં તેની પત્ની તેના માતા-પિતા પાસે ગઈ અને તેમની સાથે રહેવા લાગી. મહિલા દ્વારા તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ અનેક બનાવટી ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

આ પછી પતિ દ્વારા પત્ની વિરુદ્ધ ફેમિલી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ખોટા આધારે નોંધાયેલા કેસોને કારણે તેને માનસિક ત્રાસ સહન કરવો પડ્‌યો હતો. પતિ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, તેની પત્નીએ તેના પિતા અને ભાઈ સામે છેડતીનો ખોટો કેસ નોંધાવ્યો હતો. આ રીતે સમગ્ર પરિવાર માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયો અને સમાજમાં તેમનું માન પણ ગુમાવ્યું. મહિલાના પતિએ તેની પત્નીની ક્રૂરતાના આધારે છૂટાછેડા માંગ્યા હતા. તેમના આદેશમાં, ન્યાયમૂર્તિ વાય. જી. ખોબ્રાગડેએ અવલોકન કર્યું કે, ઘરેલુ હિંસા કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરવી અને દાંપત્ય અધિકાર પુનઃસ્થાપિત કરવાની માંગ કરવી એ પોતે ક્રૂરતા નથી. પરંતુ મહિલા દ્વારા તેના પતિ અને સાસરિયાઓ સામે ખોટો અને પાયાવિહોણો પોલીસ રિપોર્ટ નોંધાવવો તે ચોક્કસપણે ક્રૂરતાના દાયરામાં આવે છે.

મહિલાએ કોર્ટમાં દાવો કર્યો હતો કે, તેને તેના સાસરિયાઓ દ્વારા હેરાન કરવામાં આવે છે અને તેથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખંડપીઠે કહ્યું કે, મહિલા તરફથી ક્રૂરતા થઈ છે અને નીચલી કોર્ટનો આદેશ એકદમ સાચો છે. હાઈકોર્ટે મહિલાની અરજીને ફગાવી દીધી હતી કે, નીચલી કોર્ટના છૂટાછેડા આપવાના આદેશથી કોઈ સમસ્યા નથી.

 

(જી.એન.એસ)