Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

“ધારાસભ્ય રિતેશ વસાવા-પ્રકાશ દેસાઈ & કંપની શાનમાં સમજી જાય, મને ઇંટનો જવાબ પથ્થરથી આપતા આવડે છે” : મનસુખ વસાવા


સાંસદ મનસુખભાઇ વસાવા આક્રમક મૂડમાં

નાંદોદ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ-જીલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલને આડે હાથ દીધા

નેત્રંગ ખાતે યોજાયેલા સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાના આકરા પ્રહારથી ભાજપના કાર્યકરોમાં ખળભડાટ

સાજીદ સૈયદ, નર્મદા

ભરૂચ જિલ્લાના  નેત્રંગના સ્વામીનારાયણ મંદિર ખાતે ઝઘડીયા વિધાનસભાનું આદિવાસી સમાજના આગેવાનોનું વિરાટ સંમેલન યોજાયું હતું.  આ સંમેલનમાં સાંસદ મનસુખભાઇ વસાવા સહિત સેવંતીભાઈ વસાવા, રવજીભાઈ વસાવા, જગદીશભાઈ વસાવા દિનેશભાઈ વસાવા, દલુભાઈ વસાવા, ચંદ્રકાંતભાઈ વસાવા તેમજ વિવિધ જિલ્લાઓના ભારતીય જનતા પાર્ટીના યુવા આગેવાનો અને કાર્યકરો આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા સ્થાનિક યુવાનોને જિલ્લાના ઉદ્યોગોમાં નોકરીનું માર્ગદર્શન, ઉદ્યોગો તથા જિલ્લાના વિવિધ પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર લોકોને નોકરીની સલામતી, રાજપારડી જીએમડીસી લિંગ નાઈટ પ્રોજેક્ટમાં ખેડૂતોની કીમતી જમીન સંપાદન થનાર હોય આ ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. તાલુકા પંચાયત જિલ્લા પંચાયત દ્વારા રાજ્ય સરકાર અને ભારત સરકારની કલ્યાણકારી યોજનાઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તે માટેનું માર્ગદર્શન આપવા, વર્તમાન રાજકીય ગતિવિધિની ચર્ચા કરવામાં આવી હતી અને મનસુખભાઇ વસાવાએ પોતાના સંબોધનમાં ઝગડીયાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ ઉપર આકરા પ્રહારો કર્યા હતા તેમજ નાંદોદ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ-જીલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલને આડે હાથ દીધા હતા.
સાંસદ મનસુખ ભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, નેત્રંગ-વાલીયા અને ઝઘડીયા તા.પંચાપત અને ભરૂચ જી.પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પ્રક્રિયામાં મને અને પાર્ટીના પાયાના કાયઁકરોને વિશ્વાસમાં લીધા વગર નિર્ણય કરાય છે. ઝઘડીયા જીઆઇડીસી અને રેત માફીયા સાથે મળીને હપ્તો ઉઘરાવવામાં આવે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને રાજપીપળા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, નર્મદા જીલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઝઘડીયા ધારાસભ્ય રિતેશભાઈ વસાવા અને પ્રકાશ દેસાઈ મનસુખભાઇ વસાવા પાટીઁ વિરોધી કામ કરે છે તેવી ખોટી-ખોટી ફરીયાદ કરે છે. તેવા સંજોગોમાં ધારાસભ્ય રિતેશભાઇ વસાવા-પ્રકાશ દેસાઈ એન્ડ કંપની શાનમાં સમજી જાય મને ઇંટનો જવાબ પથ્થરથી આપતા આવડે છે. ભાજપના પાયાના કાયઁકરોને હેરાન કરાશે તો છોડીશ નહીં તેવું જણાવી આકરા પ્રહાર કરતાં ભાજપના કાયઁકરોમાં ભારે ખળભરાટ મચી જવા પામ્યો હતો.

આદિવાસીના ખોટા પ્રમાણપત્રો માટે ધારાસભ્ય-સાંસદ બોલતા નથી

આદિજાતીના પ્રમાણપત્રો ખોટી રીતે બિનઆદિવાસીઓ મેળવીને આદિવાસીઓના નામે ચરી ખાય છે. તેવા સંજોગોમાં ધારાસભ્ય રિતેશભાઇ વસાવા, દર્શનાબેન દેશમુખ, ચૈતર વસાવા, પૂર્વ મંત્રી મોતિસિંહ વસાવા, સાંસદ ગીતાબેન રાઠવા, જસવંતસિંહ ભાભોર, પરભુ વસાવા કંઈ બોલતા નથી. આદિવાસીની રિજર્વ બેઠક ઉપરથી ચુંટાઇ આવો છો. પણ આદિવાસીઓ માટે બોલતા નથી. મનસુખભાઇ વસાવા બોલે તો પાર્ટી વિરોધી કામ કરે તેવી રજુઆતો કરો છો.

ચૈતર વસાવા, હર્ષદ વસાવા ભાજપમાં આવે તો મને વાંધો નથી.

ડેડીયાપાડાના આમ આદમી પાટીઁના ધારાસભ્ય ચૈતર વસાવા અને રાજપીપળાના પુવઁ ધારાસભ્ય હર્ષદ વસાવા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા ભાજપમાં જોડાય તો આવકાર છે. પરંતુ ભાજપના જે કાયઁકરો વષૉથી કામ કરે છે તેમનું મહત્વ પાર્ટીમાં ઘટવું નહીં જોઈએ, ભાજપનો વ્યાપ વધવો જરૂરી છે. મને વિશ્વાસમાં લીધા વગર ઘનશ્યામ પટેલ અને દર્શનાબેન  દેશમુખ બારોબાર મિટીંગ કરે છે અને સી.આર પાટીલને મારા વિરૂદ્ધ ખોટી-ખોટી રજુઆતો કરે તેનો મને વાંધો છે.

સાંસદ મનસુખભાઇ વસાવાએ પાટીઁમાંથી રાજીનામું આપવું જોઈએ : પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા

ઝઘડીયાના પુવઁ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ સાંસદ મનસુખભાઇ વસાવા પ્રત્યે સહાનુભુતિ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મનસુખભાઇ વસાવા સાંસદ છે. આદિવાસી નેતા છે. પાર્ટીમાં મનસુખભાઇ વસાવાનું દેસાઈ એન્ડ કંપની અપમાન કરતાં હોય અને તેમની ખરાબ રીતે સી.આર પાટીલ સામે ચિતરતા હોય તો, પાર્ટીમાંથી રાજીનામું આપવું જોઈએ.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *