Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ક્યા પાપીઓના કારણે બની રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં આગની ઘટના..?

રાજકોટની કરુણાતીકાને પગલે સમગ્ર ગુજરાત સરકાર જાગી, રાજ્યભરના વિવિધ ગેમિંગ ઝોનોમાં તપાસ હાથ ધરવામાં આવી

રાજકોટની આ કરુણ દુર્ઘટના બાદ વડોદરામાં રાતોરાત ૯ જેટલા ગેમ ઝોન બંધ કરવાનો તંત્ર દ્વારા આદેશ આપાયો છે

રાજકોટ,
રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડને લઈ ગુજરાત સહિત દેશના દરેક લોકોના હ્રદય થંભી ગયા છે. આ ઘટનામાં માસૂમ બાળકો, મહિલાઓ, TRP Game Zoneના કર્મચારી અને યુવાનો વિકરાળમાં હોમાયા છે. આ ઘટનામાં આશરે ૩૩ લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર મૃતદેહોની કતાર જોવા મળી રહી છે. તે ઉપરાંત આશરે ૩૦ જેટલા લોકો પોતાના સ્વજનોને હજુ પણ ઘટનાસ્થળ અને સિવિલ હોસ્પિટલમાં શોધી રહ્યા છે. ભોગ બનનાર પરિવારમાં પણ માતમનો માહોલ છવાયો છે. પરિવારની એક જ માંગ છે કે, પોતાની દીકરી-સંતાન કે, પરિજન પરત આવે. પરંતુ તેમને કોણ સમજાવે કે, તેમને આગ ભરખી ગઈ છે અને હવે તે પાછા ક્યારેય પરત નહીં ફરે.

આ કરુણ ઘટના બાદ રાજકોટ કલેક્ટર અને અધિકારીઓ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. એક પછી એક મૃતદેહ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવતા સન્નાટો પ્રસરી ગયો હતો. સમગ્ર દેશ અને શહેર સ્તબ્ધ છે. માલિક યુવરાજસિંહ સોલંકી અને બે મેનેજર યજ્ઞેશ પાઠક અને નીતિન જૈન સહિત દસની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસમાં આઇપીએસ સુભાષ ત્રિવેદીના નેજા હેઠળ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરવામાં આવી છે. અમદાવાદ ચીફ ફાયર ઓફિસર પણ એસઆઈટીમાં સામેલ છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે એસઆઈટી ના સભ્યો રાજકોટ જવા રવાના થઈ ગયા છે. ટીઆરપી આગકાંડ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું છે અને સહાયની જાહેરાત કરી છે. સીએમએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું, રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.

આવી દૂર્ઘટનાઓ ક્યારે બંધ થશે તે સૌથી મોટો સવાલ છે.

રાજકોટ ગેમઝોન દુર્ઘટનાને લઈને રાજ્ય સહિત દેશના લોકોએ દુઃખ વ્યક્ત કરી તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હોવાના વસવસા સાથે રોષ વ્યક્ત કર્યો છે. આ ગેમઝોનમાં અનેક મોટા અધિકારીઓ મુલાકાત લઈ ચુક્યા છે જેને લઈ અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યાં છે. જો આ અધિકારીઓએ એકવાર સેફ્‌ટીની પણ ચકાસણી કરી લીધી હોત તો કદાચ આવો કાળો દિવસ ન આવત. અધિકારીઓના મુલાકાતની તસવીર સામે આવી છે. જે તસવીર બાદ લોકોમાં અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ છે.

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ઘટના સ્થળે એનડીઆરએફની ટીમ પહોંચી પણ કામે લાગી છે. કાટમાળમાંથી માનવ અવશેષો મળી આવ્યા છે. કેટલાક લોકોના ફોટોગ્રાફ પણ મળી આવ્યા છે. કાટમાળમાં સ્ટ્રક્ચરની પણ તપાસ કરવામાં આવી છે. રાજકોટના ટીઆરપી ગેમઝોનમાંથી બિયરના ટીન પણ મળ્યા છે. પોલીસે ઓફિસમાંથી બિયરના ટીન કબજે કર્યા છે અને કહ્યું હતું કે, જેના હશે તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ કરુણ ઘટના બાદ ગેમઝોનની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે, ત્યારે બાળકોના રમત ગમતના સ્થાન એવા ગેમ ઝોનમાં સુરક્ષાના માપદંડ કેટલા રાખવામાં આવ્યા છે, તેને લઈને મામલતદાર સહિત નગરપાલિકાના ફાયર ઓફિસરની ટીમ ચકાસણી અર્થે નીકળી હતી. આ ગેમિંગ ઝોનમાં ફાયર સેફ્‌ટી સહિત એક્ઝિટ-એન્ટ્રી અને અન્ય સુરક્ષાના માપદંડોના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે, કેમ તેને લઈને પણ ચકાસણી શરૂ કરવામાં આવી છે. જો ગેમ ઝોન દ્વારા કોઈપણ સુરક્ષા માપદંડનું પાલન ન થતું હોય છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાને લઈને પણ તંત્ર સાબદુ બન્યું છે.

રાજકોટની આ કરુણ દુર્ઘટના બાદ વડોદરામાં રાતોરાત ૯ જેટલા ગેમ ઝોન બંધ કરવાનો તંત્ર દ્વારા આદેશ આપાયો છે, ત્યારે તાત્કાલિક ધોરણે ફાયર એન્ડ ઇમરજન્સી સેવાના અધિકારીઓ-કર્મચારીઓ સાથે ફાયર સેફ્‌ટી રિ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ટેમ્પરરી હોટેલો, ફનઝોન તથા ઘરેલુ સામાનની દુકાનોમાં સેફિટીના પુરતા સાધનનો અભાવ જોવા મળ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં આગની ઘટના બાદ વડોદરામાં ૯ ગેમઝોન બંધ કરવામાં આવ્યા છે. તેમ છતા હોટલ, રેસ્ટોરન્ટ, ટેમ્પરરી ઉભી કરાયેલી ઘરવખરીની દુકાનો, વાંસના દંડા વડે તૈયાર કરાયેલા ટેમ્પરરી ડોમમાં એકમાત્ર ઇન અને આઉટ ગેટ જોવા મળ્યો હતા. તે સિવાય ફરસાણની નામાંકિત રેસ્ટોરન્ટમાં પણ આવવા જવા માટે એક જ રસ્તો જોવા મળ્યો હતો. અંદર સેન્ટ્રલ એસી હતું પરંતુ ફાયર સેફટી કે, ફાયર એલાર્મ જેવું કાઈ જ જોવા મળ્યું ન હતું. જેને પગલે તંત્રએ બેરોકટોક પરમિશન આપી સેફ્‌ટી અંગે ચકાસણી વગર આ રીતે ચાલતા આવા ધંધાદારી સામે કાર્યવાહી થવી જોઈએ કારણ કે, મોટા ભાગના લોકો આવી રેસ્ટોરન્ટ, હોટલ, ઘરવખરીની દુકાનો, રેસ્ટોરન્ટ અને શેરડીના કોલામાં વધુ જવાનું પસંદ કરતાં હોય છે.

વડોદરા તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને લઇ શહેરના સેવાસી વિસ્તારમાં આવેલા એડવેન્ચર પાર્કમાં ફાયર સેફ્‌ટીનો અભાવ જોવા મળ્યો હતો. ફાયરની પાણીની લાઈન બંધ હોવાથી તાત્કાલિક ફાયરની પાણીની લાઈન બદલવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાની ચર્ચા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠક્કરે જણાવ્યું હતું કે, આજે અલગ અલગ ત્રણ ટીમો બનાવી અને શહેરમાં આવેલા વિવિધ ૧૪ જેટલા ગેમ ઝોનમાં ચેકિંગ હાથ કરાયું હતું. અત્યાર સુધીની પ્રાથમિક માહિતીમાં જેટલા પણ ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી છે. તેમાં મોટાભાગના ગેમ ઝોનમાં જે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ છે તે એક જ હોવાનું સામે આવ્યું છે. જ્યારે આગ લાગે ત્યારે ધુમાડા બહાર નીકળવા માટે જે વેન્ટિલેશન હોવું જોઈએ તે વેન્ટિલેશન પણ પ્રોપર ન હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી આ તમામ બાબતોની ચકાસણી કરી અને જ્યાં સુધી આ ખામીઓને દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી કોઈ પણ ગેમ ઝોનને ચાલુ ન કરવા દેવા અંગેની સૂચના આપવામાં આવી છે. તમામ ગેમ ઝોનમાં આજે ચેકિંગ પૂર્ણ થયા બાદ એનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જે રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર અને રાજ્ય સરકારને મોકલવામાં આવશે.

અમદાવાદના તમામ ગેમ ઝોનમાં ફાયર બ્રિગેડ, એએમસી અને પોલીસના અધિકારીઓએ ફાયર સેફટી, એનઓસી, ગેમ ઝોનમાં એન્ટ્રી એક્ઝિટની કેવી વ્યવસ્થા છે તે વગેરે અંગેની ચકાસણી કરવામાં આવી હતી. ગેમ ઝોન ચલાવવા માટે કેવા પ્રકારની મંજૂરી લેવામાં આવી છે તે અંગેના ડોક્યુમેન્ટની પણ ચકાસણી કરવામાં આવી છે. જેમાં એક ટીમ દ્વારા સિંધુભવન રોડ ઉપર આવેલા શૉટ ગેમ ઝોનમાં પણ તપાસ કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેકસ મામલે વિવાદમાં એસ.જી હાઇવે પર થલતેજ નજીક આવેલા પેલેડિયમ મોલમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તમામ પ્રકારની ફાયર સિસ્ટમ કાર્યરત હોવાનું સામે આવ્યું હતું. સિંધુભવન રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જોકે ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં ઈમરજન્સી એક્ઝિટ માટે અલગથી ગેટ બનાવવાની શરૂઆત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ગેમ ઝોનમાં તાત્કાલિક ધોરણે કામગીરી ચાલી રહી છે. જોકે આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ ફન બ્લાસ્ટમાં હાલ આ કામગીરી કરવામાં આવી રહી છે

રાજકોટની આ દુર્ઘટના બાદ નવસારીમાં પણ તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તમામ ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ આપ્યા હતા અને ત્યારબાદ પોલીસ, ફાયર વિભાગ દ્વારા બરાબર ચેકિંગ અને પરમિશનોની તપાસ કર્યા બાદ જ તેમને ફરીથી ચાલુ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.

 

(જી.એન.એસ)