Safeer News

Breaking News from Ahmedabad

દેશ

હાઈકોર્ટનો જબરદસ્ત ચુકાદો : બહેનનો પતિ દીકરીનો પતિ બની ગયો, બાપ કોર્ટ પહોંચ્યો, હાઈકોર્ટે અવલોકન સાથે ચુકાદો કર્યો

જે એક માં-બાપને મોટી રાહત આપશે હાઈકોર્ટનો એવો જબરદસ્ત ચુકાદો

હાઈકોર્ટે કહ્યું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે, ફુઆ તેમની પત્ની/બાળકને છોડી ગયા છે અને દાવો કર્યો છે કે, તેમણે એક છોકરી સાથે લગ્ન કર્યા છે જે તેમની ભત્રીજી છે.

નવી દિલ્હી,તા.૦૨
દિલ્હી હાઈકોર્ટે એક છોકરી અને તેના ફુઆ વચ્ચેના લગ્નને લઈને દાખલ કરવામાં આવેલી અરજીને ગેરકાયદેસર જાહેર કરી છે. આ કેસમાં ફુઆએ પોતે અપરિણીત હોવાનું જણાવી લગ્ન કરી લીધા હતા. આ મામલામાં હાઈકોર્ટે આર્ય સમાજ મંદિરને ઠપકો આપતા કહ્યું કે, લગ્નનું આયોજન કરતા વખતે સાવચેત રહેવું જાેઈએ. કોર્ટે કહ્યું છે કે, મંદિર પ્રશાસને એ સુનિશ્ચિત કરવું જાેઈએ કે, જે લોકો આવા સમારોહના સાક્ષી છે તેઓ સાચા અને અધિકૃત હોય.

જસ્ટિસ પ્રતિભા એમ સિંહ અને અમિત શર્માની ખંડપીઠે પિતાની અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે, મંદિરે બંને પક્ષોમાંથી ઓછામાં ઓછો એક સાક્ષી રાખવાનો પ્રયાસ કરવો જાેઈએ, જે કોઈ સંબંધી હોય કે, કોઈ પરિચિત હોય જે તેમને યોગ્ય સમયે મળી શકે.

કેસની સુનાવણી દરમિયાન કોર્ટે અવલોકન કર્યું હતું કે, આર્ય સમાજ મંદિરની સામે છોકરીના ફુઆએ પોતાને અપરિણીત હોવાનું કહ્યું હતું. અદાલતમાં સાબિત થયું કે, લગ્નનું આયોજન કરાવનાર દંપતી અને પૂજારી સિવાય માલવિયા નગરના આર્ય સમાજ મંદિરમાં આયોજિત લગ્ન સમારોહમાં કોઈ હાજર નહોતું. કોર્ટે કહ્યું કે, તેની ‘કાયદેસરતા અને પવિત્રતા’ સંપૂર્ણપણે શંકાસ્પદ છે.

હાઈકોર્ટને કહેવામાં આવ્યું હતું કે, આર્ય સમાજ મંદિર વૈવાહિક સ્થિતિ અંગે પક્ષકારો પાસેથી એફિડેવિટ લઈ લેશે, પરંતુ વધુ તપાસ કરવામાં આવતી નથી. કોર્ટે કહ્યું કે, આર્ય સમાજ મંદિર હવેથી એ સુનિશ્ચિત કરશે કે, જ્યારે લગ્નના સાક્ષીઓને રજૂ કરવામાં આવે ત્યારે તેઓ સાચા અને અધિકૃત સાક્ષીઓ હોય, જેમની સ્થિતિ યોગ્ય રીતે ચકાસી શકાય. કોર્ટે કહ્યું કે, મંદિર બંને પક્ષોમાંથી ઓછામાં ઓછા એક સાક્ષી એટલે કે, વર-કન્યાના રિલેટીવને બોલાવવાનો પ્રયાસ કરશે. જાે કોઈ સંબંધી લગ્નમાં આવવા સક્ષમ ન હોય, તો ત્યાં બંનેમાંથી કોઈ પરિચિત હોવું જાેઈએ જે બંને પક્ષોને લાંબા સમયથી ઓળખતું હોય.

હાઈકોર્ટ આ આદેશની નકલ મુખ્ય સચિવ, GNCTDને મોકલશે જેથી કરીને આ અંગે યોગ્ય પગલાં લઈ શકાય. તમને જણાવી દઈએ કે, બાળકીના પિતાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે ફરિયાદ કરી હતી કે, તેમની પુત્રી ૧ જુલાઈથી ગુમ છે. આ કેસની સુનાવણી દરમિયાન જ્યારે છોકરી કોર્ટમાં હાજર થઈ ત્યારે તેણે દાવો કર્યો કે, અરજદાર તેના બાયોલોજિકલ પિતા નહીં પરંતુ તેનો સાવકા પિતા છે. લગ્ન બાદ તે તેના ‘પતિ’ સાથે રહે છે. જાે કે, હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ફુઆ સાથેની વૈવાહિક સ્થિતિ અંગે બંને પક્ષો દ્વારા ખોટા સોગંદનામાના આધારે લગ્ન થયા હોવાથી કાયદાની નજરમાં તેનું કોઈ મહત્વ નથી.

હાઈકોર્ટે કહ્યું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે, ફુઆ તેમની પત્ની/બાળકને છોડી ગયા છે અને દાવો કર્યો છે કે, તેમણે એક છોકરી સાથે લગ્ન કર્યા છે જે તેમની ભત્રીજી છે. હાઈકોર્ટે કહ્યું કે, કોર્ટનું માનવું છે કે, આર્ય સમાજ મંદિર દ્વારા આયોજિત કથિત લગ્ન સમારોહ પ્રથમ દૃષ્ટિએ ગેરકાયદેસર લગ્ન છે. કારણ કે, ફુઆએ લગ્ન માટે રજૂ કરેલા સોગંદનામામાં જાહેર કર્યું છે કે, તેઓ અપરિણીત છે. છોકરી પુખ્ત છે અને તેણે યાચિકાકર્તા સાથે જવાનો ઇનકાર કરી દીધો હોવાથી કોર્ટે કહ્યું કે, આગળ તેઓ કોઈ આદેશ આપી શકશે નહીં.

 

(જી.એન.એસ)