Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન Entertainment

પોસ્ટર લોન્ચ : ટીકુ તલસાણીયા અને સુપ્રિયા પાઠક અભિનિત ‘ફરી એક વાર’ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું

(Rizwan Ambaliya)

ફિલ્મમાં બેથી ત્રણ ગીત પણ છે જેમાંનું એક અઘોરી મ્યુઝિક બૅન્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ રોમોદી બેન્ક્વેટ ખાતે ટાફ ગૃપ અને ટાફ સંચાલિત અમદાવાદ આર્ટીસ્ટ ફોરમ ગ્રુપના સહયોગથી વિહાન દાંડ નિર્મિત અને અખિલ કોટક દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘ફરી એક વાર’ નું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ જીતેન્દ્ર ઠક્કર, ભાવિની જાની, મૌલિક ચૌહાણ, સપના વ્યાસ, નિરાલી જોષી, શ્રદ્ધા ઠક્કર સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતાં. જાણીતાં ફિલ્મ પ્રોડ્યુસર અને ડિરેક્ટર ડો. જયેશ પાવરા અને આસિફ સિલાવત પણ હાજર રહ્યાં હતાં.

હિન્દી સિનેમા અને સિરિયલોના ખૂબ જ લોકપ્રિય કલાકારો સુપ્રિયા પાઠક અને ટીકુ તલસાણીયા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. એ સાથે જ ગુજરાતી સિનેમાનાં જાણીતા કલાકારો યુવા કલાકારો ઉત્સવ નાઈક, અવની મોદી, નેત્રી ત્રિવેદી સાથે ગુજરાતી ફિલ્મો- સિરિયલોના વરિષ્ઠ કલાકારો ભરત ઠક્કર, કોમલ પંચાલ, મોરલી પટેલ સહિત અન્ય જાણીતા કલાકારો પણ છે. આ ફિલ્મ મધુ એન્ટરટેઈનમેન્ટ & મીડિયા પ્રાઈવેટ લિમિટેડ હેઠળ નિર્માણ પામી રહી છે.

ફિલ્મ અંગે ડિરેકટર અખિલ કોટક જણાવે છે કે, ફિલ્મમાં એવા વિષયની રજૂઆત કરી રહ્યા છીએ જેના પ્રત્યે સમાજમાં હજુ જાગરુકતા આવી નથી. જેમ કે, મોટી ઉંમરના એકલવાયા લોકો જેઓ પરિવાર સાથે તો રહે છે પણ અંગત જીવનમાં ખાલીપો અનુભવતા હોય છે. કારણ, તેમણે મોટી ઉંમરે જીવનસાથી ગુમાવ્યો હોય કે, તેમના છૂટાછેડા થયા હોય, પછી ભલે એ સ્ત્રી હોય કે, પુરુષ. તેઓ ફરી એક વાર તેમની પસંદગીનું પાત્ર શોધી તેમના જીવનનો ખાલીપો દૂર કરી શકે છે. સંયોગ નહી પણ નસીબના લેખ દરેક સંબંધના મૂળમાં રહેલા છે સાથ, સહકાર, પ્રેમ, મિત્રતા, હૂંફ અને લાગણીઓ. આ પાયાની જરૂરિયાતો ભૂલીને જોડાઈ ગયેલા સંબંધની બીજી પાર દરેક માટે એક વ્યક્તિ રાહ જોઈને ઊભી હોય છે. અમારી વાર્તા આવા જ સંગાથ, પ્રેમ અને પરિવારની વાત છે જ્યાં સંપુર્ણતા કરતા અપૂર્ણતામાં ખુશી શોધતા લોકો એકબીજાનો હાથ પકડીને જીવન નામની સફર જીવવા જોડાય છે. ફિલ્મમાં બેથી ત્રણ ગીત પણ છે જેમાંનું એક અઘોરી મ્યુઝિક બૅન્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જે રિલીઝ થશે ત્યારે ખાસ કરીને યુવાવર્ગને ખૂબ પસંદ પડશે.

ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં છે યુવાનોથી લઈ વરિષ્ઠ નાગરિકો જેઓ એકલવાયું જીવન જીવી રહ્યા છે. ફિલ્મનાં લેખિકા કાજલ મહેતાના જણાવ્યા મુજબ, એવા ઘણા લોકો છે જેઓ વિધુર કે, વિધવા છે છૂટાછેડા થયા હોય કે, મોટી ઉંમર સુધી લગ્ન ન થયા હોય. તેઓ ફરી એક વાર તેમનું જીવન નવપલ્લવિત કરી શકે છે એ ફિલ્મમાં દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.