Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ બન્યું ગુજરાતના સુપ્રસિદ્ધ પર્યટન સ્થળોમાં લોકોની પહેલી પસંદ

આ વર્ષે ઉનાળા વેકેશનના સમયગાળા દરમિયાન, ૧ એપ્રિલથી ૧૦ જૂન ૨૦૨૪ સુધીમાં, રાજ્યના ૧૨ પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની ૧.૩૫ કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.


અમદાવાદ,તા.૦૩
દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. બે ગણી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને મજા માણી હતી.

આ વર્ષે ઉનાળા વેકેશનના સમયગાળા દરમિયાન, ૧ એપ્રિલથી ૧૦ જૂન ૨૦૨૪ સુધીમાં, રાજ્યના ૧૨ પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની ૧.૩૫ કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. વર્ષ ૨૦૨૩માં એપ્રિલ અને મે મહિનાના સમયમાં ૧.૧૪ કરોડ પ્રવાસીઓએ આ સ્થળોની મુલાકાત લીધી હતી, જેની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ૧૭ ટકાનો વધારો નોંધાયો છે.

આ સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો જેમ કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી (SoU), અટલ બ્રિજ, રિવરફ્રન્ટ-ફ્લાવર પાર્ક, કાંકરિયા તળાવ, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર, સાયન્સ સિટી-અમદાવાદ, વડનગર, ગીર અને દેવળીયા સફારી તેમજ અમદાવાદ મેટ્રો રેલવેનો આનંદ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં.

‘ખુશ્બુ ગુજરાત કી’ માણવા આવતા પ્રવાસીઓમાં હેરિટેજ શહેર અમદાવાદ સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે. વર્ષ ૨૦૨૩-૨૪માં પ્રવાસીઓની સંખ્યાની બાબતે અમદાવાદ સૌથી પસંદગીનું સ્થળ અને જિલ્લો રહ્યો છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અને સંલગ્ન પ્રવૃત્તિઓને વેગ આપીને, રોજગારીની નવી તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે.

ગુજરાતમાં આવતા પ્રવાસીઓના અનુભવને સારા બનાવવા માટે પ્રવાસન વિભાગ માટે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં ૨૦૭૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં આકર્ષક પ્રવાસન સ્થળો, ધાર્મિક, સાંસ્કૃતિક અને એડવેન્ચર આકર્ષણો તેમજ ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે. તાજેતરમાં ભારતની યજમાનીમાં આયોજિત થયેલી G-20 બેઠકોનો એક દોર ગુજરાતમાં પણ રહ્યો હતો. રાજ્ય સરકારે, કચ્છના ધોરડો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળોએ G-20 બેઠકોનું સફળતાપૂર્વક આયોજન કરીને, G-20 દેશના પ્રતિનિધિઓને રાજ્યના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવ્યો હતો.

G-20 પ્રતિનિધિઓએ ધોળાવીરા, મોઢેરા સૂર્યમંદિર, અમદાવાદનો ઐતિહાસિક વારસો, ગિફ્ટ સિટી અને દાંડી કુટીર સહિતના આકર્ષણોની મુલાકાત લઇને તેની સરાહના કરી હતી. પ્રાચીન નગરોની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણું બની હતી અને તેમના પ્રતિભાવોમાં તેમણે જણાવ્યું હતું કે, આ સમગ્ર વિશ્વની ધરોહર છે, જેને આવનારી પેઢી માટે સાચવી રાખવી જરૂરી છે.

 

(જી.એન.એસ)