Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

વ્યાજખોરો સામે કડક કાર્યવાહી..! ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વાર એક જ પરિવારના ત્રણ સભ્યો ગુજસીટોકના ગુનામાં જેલ હવાલે

અંજાર, તા. ૭

ત્રણેય ભાઈ-બહેન સામે વ્યાજખોરી, પઠાણી ઉઘરાણી અને મારામારી સહિતના અનેક ગુનાઓ પહેલાં જ નોંધાયેલા છે.

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વ્યાજખોરીને ડામવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને વ્યાજખોરીની ચુંગલમાં ફસાયેલા લોકોને ન્યાય મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં આ પહેલી જ વાર છે કે, જ્યારે વ્યાજખોરીના કિસ્સામાં ગુજસીટોક લાગુ કરાયો છે. તો આ સાથે જ પહેલી જ વાર એક મહિલા સામે પણ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રિયાની ટોળકીમાં સામેલ તેના સગા ભાઈ તેજસ ગોસ્વામી અને સગી બહેન આરતી ગોસ્વામી વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. તેમને જેલ હવાલે કરાયા છે.

એકસાથે ત્રણ સગા ભાઈ-બહેન ગુજસીટોક હેઠળ જેલમાં ધકેલાયા છે. હકીકતમાં ત્રણેય ભાઈ-બહેન સામે વ્યાજખોરી, પઠાણી ઉઘરાણી અને મારામારી સહિતના અનેક ગુનાઓ પહેલાં જ નોંધાયેલા છે. પરંતુ તેમ છતાં તેઓ સુધરવાનું નામ લઈ રહ્યા ન હતા. બે કિસ્સામાં તો ભોગ બનનારને આત્મહત્યા માટે મજબૂર કર્યાની પણ ફરિયાદ છે. ત્યારે ગુનાની ગંભીરતા સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે.

પૂર્વ કચ્છ પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું. છેલ્લે ૩૧ જુલાઈ, ૨૦૨૪ના રોજ અંજારના મુમતાઝબેન લુહારે ત્રણેય ભાઈ-બહેન વિરુદ્ધ ગેરકાયદે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાવી હતી. લેડી ડોન રિયા અગાઉ પાસા હેઠળ પણ જેલમાં જઈ ચુકી છે. પરંતુ, જામીન પર મુક્ત થઈને આ અપરાધીઓ ફરી ગુનાહિત પ્રવૃત્તિમાં લાગી જતા હતા, લોકોને પરેશાન કરતાં હતા. પોલીસની આ કાર્યવાહી બાદ હાલ તો અન્ય રીઢા ગુનેગારોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. વ્યાજખોરી કરતાં અન્ય તત્વો પણ ભયમાં છે.

 

(જી.એન.એસ)