Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાત સરકાર દ્વારા “હર ઘર તિરંગા” કાર્યક્રમ યોજવાનું ભવ્ય આયોજન

ગુજરાતના મુખ્ય ચાર શહેરોમાં ૨થી ૩ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર, તા. ૭
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે રાજ્યકક્ષા મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસને સંબોધિત કરીને ગુજરાતમાં યોજાનાર “હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણી વિશે માહિતી આપી હતી.

ભારત સરકાર દ્વારા તા. ૮ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા પણ તા. ૮થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર રાજ્યમાં ૭૮માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યના મુખ્ય ચાર શહેરો રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે ભવ્ય ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવેલ છે. તા.૧૦ ઓગસ્ટના રોજ રાજકોટ, તા.૧૧ ઓગસ્ટે સુરત, તા.૧૨ ઓગસ્ટે વડોદરા અને તા.૧૩ ઓગસ્ટે અમદાવાદ ખાતે તિરંગા યાત્રા યોજાશે.

આ પ્રોગ્રામ ઉપરાંત રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ૧૪,૨૯૨ ગ્રામ પંચાયતોમાં પણ આ તિરંગા યાત્રાની ઉજવણી થશે. આ ઉપરાંત રાજ્યના મુખ્ય ૭૫ આઇકોનિક સ્થળોએ પણ આ પર્વની ઉજવણી થશે. આ ઉજવણીમાં રાજ્યના તમામ ઘર, દુકાન ઉદ્યોગ ગૃહ, સરકારી કચેરી, ખાનગી કચેરી અને લારીઓ પર પણ ત્રિરંગા લહેરાવામાં આવનાર છે.

રાજ્યમાં આ ઉજવણીમાં તમામ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર પણ સંકલનમાં રહીને કામગીરી કરી રહ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ દેશ ભક્તિની થીમ ઉપર ફેન્સી ડ્રેસ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તથા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીને પુરસ્કારથી સન્માનિત કરાશે. શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને આઝાદી તેમજ તિરંગાનું સન્માન જળવાય તે અંગેની સમજ પણ આપવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ૪૦થી ૫૦ લાખ તિરંગાઓનું વિતરણ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ શહેરોના ચાર રસ્તાઓ ઉપર નાગરીકોને તિરંગાનું વિતરણ પણ કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા રાજ્યની એસ.ટી. બસોમાં પણ મુસાફરોને તિરંગાનું વિતરણ કરવામાં આવશે.

ચાર મહાનગરોમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં થનાર ઉજવણીની વિગત.

ચાર મહાનગરોમાં અંદાજે ૨ કિલોમીટરના રૂટ પર તિરંગા યાત્રા/મેગા પરેડ યોજાશે. જેમાં સુરત અને અમદાવાદ ખાતે ૧ લાખથી વધુ જ્યારે રાજકોટ અને વડોદરા ખાતે ૫૦થી ૭૦ હજાર નાગરીકો સહભાગી થશે. આ કાર્યક્રમ અંતર્ગત સશસ્ત્ર દળોનું બેન્ડ, પોલીસ બેન્ડ, સ્કુલ બેન્ડ અને અન્ય ખાનગી બેન્ડ દ્વારા દેશ ભક્તિ આધારીત ધૂન રજૂ કરવામાં આવશે. રાજ્યના વિવિધ સાંસ્કૃતિક વૃંદો દ્વારા વિવિધ સ્થળે જાણિતા નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવશે.

રાજ્ય સરકારના વિવિધ વિભાગ દ્વારા કુલ ૯ ટેબ્લો રજૂ પ્રદર્શિત આવશે. માન. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ થઈ રહેલા આયોજનમાં આ વખતની ઉજવણીમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા, તિરંગા રેલી, તિરંગા રન, તિરંગા કોન્સર્ટ, તિરંગા કેનવાસ, તિરંગા શપથ, તિરંગા સેલ્ફી, તિરંગા સન્માન તેમજ તિરંગા મેલા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.

 

(જી.એન.એસ)