Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

૧૬ જૂલાઇ બાદ મેઘરાજા ફરી ગુજરાત પર મહેરબાન થશે : અંબાલાલ પટેલ

૧૫ જુલાઈ સુધી પવન વાહક ગ્રહો હોવાથી બંગાળના ઉપસગારમાં હલચલ લાવશે. જેની અસર ગુજરાત સુધી થશે.

ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ પડશે. વલસાડ, તાપી અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી છે.

અમદાવાદ,તા.૧૩
ઉત્તર ગુજરાત પર મોન્સુન ટ્રફ સાયક્લોનિક સરક્યુલેશન અને લો પ્રેસર સિસ્ટમ સક્રિય હોય ત્યારે ગુજરાત અને એમાં પણ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડે છે. પરંતુ હાલ વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ ફંટાઈ ગઈ છે. જેને કારણે વાદળો બંધાતા હોવા છતા વરસાદ આવતો નથી.

હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર, ચોમાસાની સિસ્ટમ ફરી સક્રિય થયા પછી ૧૫-૧૬ જુલાઈથી સારા વરસાદની શક્યતા છે. ગત વર્ષે ૧૨ જુલાઈ સુધી ૧૫૪ મીમી વરસાદ પડયો હતો. પરંતુ આ વખતે આ સમયગાળા દરમિયાન ૧૪૩ મીમી વરસાદ નોંધાયો છે. ગત વર્ષે એક સાથે ૪ સિસ્ટમ સક્રિય હોવાથી સારો વરસાદ પડ્‌‌યો હતો. છેલ્લા ૪-૫ દિવસથી ભેજને કારણે વાદળો બંધાય છે. પરંતુ સિસ્ટમ નબળી પડી હોવાથી અપેક્ષા મુજબ વરસાદ પડતો નથી.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અરબી સમુદ્રના પવનો નબળા રહેતા ગુજરાતમાં હાલ ૫ દિવસ વરસાદની શક્યતા ઓછી છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ નિષ્ક્રિય રહેતા ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે, ૧૬ જૂલાઇ બાદ મેઘરાજા ફરી રાજ્ય પર મહેરબાન થશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલ વરસાદની સંભાવના ઓછી છે. કેટલાંક જિલ્લાઓમાં એમાં પણ કેટલાંક વિસ્તારોને બાદ કરતા બાકીના વિસ્તારોમાં ભેજયુક્ત પણ વરસાદ વિનાનું ઉકળાટવાળું વાતાવરણ રહેશે. તાપમાનમાં પણ સામાન્ય કરતા થોડો વધારાનો અહેસાસ થશે.

ગુજરાતમાં મેઘરાજાએ બરાબર બેટિંગ કર્યા બાદ વરસાદનું જાેર થોડું ઘટ્યું છે. આવી સ્થિતિમાં ચોમાસાને લઇને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ચોમાસાની ધરી ગુજરાતની નજીક આવી ગઇ છે. બીજી બાજુ, દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ-શોર ટ્રફ છે. જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મહારાષ્ટ્રમાં શિયર ઝોન જાેવા મળે છે. આટલું જ નહીં, ઉત્તર પૂર્વ અસમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સાથે જ બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી એક ઓફ-શોર ટ્રફ છે. જેના કારણે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત ઠેર-ઠેર ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઓફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ મહેર કરી શકે છે. એટલું જ નહીં, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ૮-૮ ઈંચ જેટલો વરસાદ પણ વરસાવી શકે છે. ઉપરાંત રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જાે ગુજરાત તરફ ગતિ કરે તો એકાદ-બે દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૧૪૪થી વધારે તાલુકામાં વરસાદ પડ્‌‌યો છે.

જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ગુજરાતમાં હજી પણ ચોમાસું દક્ષિણ ગુજરાતથી આગળ વધ્યુ નથી.  દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ પડશે. વલસાડ, તાપી અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ કારણે માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગની સૂચના છે. ત્યારે બાકીના જિલ્લાઓમાં અટકી પડેલા વરસાદે ચિંતા વધારી છે. ત્યારે આ જિલ્લાઓમાં વરસાદ માટે સારા સમાચાર સામે આવ્યા છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો ૨૬ ટકા વરસાદ વરસ્યો છે. નૈઋત્યના ચોમાસાનું આગમન થયાને એક મહિનો થઈ ગયો છે, પરંતુ મેઘરાજા હજુ સુધી મન મુકીને વરસ્યા નથી. રાજ્યમાં ૯.૧૫ ઈંચ સાથે સિઝનનો ૨૬.૩૨ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જેની સામે ગયા વર્ષે ૧૨ જુલાઈ સુધીમાં ૪૮ ટકા વરસાદ વરસ્યો હતો.રાજ્યના ૧૮ જિલ્લામાં ૨૦ ટકાથી વધુ વરસાદની ઘટ છે. આ વખતે ૨૦ ઈંચથી વધુ વરસાદ હોય તેવા માત્ર ૨૫ તાલુકા છે. કચ્છમાં ગયા વર્ષે સીઝનનો ૧૧૨ ટકા વરસાદ વરસ્યો હતો ત્યાં આ વર્ષે માત્ર ૩૫ ટકા જ વરસાદ થયો છે. દાહોદ, આણંદ, અરવલ્લીમાં વરસાદની ઘટ છે. મહીસાગર અને ડાંગ જિલ્લામાં વરસાદની ઘટ છે.

ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી છે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ નહિ થવાનું કારણ અરબ સાગરનો ભેજ નબળો છે. હાલમાં ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્ર ઉત્તર ભારત તરફ કાર્યરત છે જે વરસાદ લાવશે. ૧૨થી ૧૪ જુલાઈ સુધી મહારાષ્ટ્રમાં ગ્રહો કાર્યરત રહેશે. ૧૫ જુલાઈ સુધી પવન વાહક ગ્રહો હોવાથી બંગાળના ઉપસગારમાં હલચલ લાવશે. જેની અસર ગુજરાત સુધી થશે. ૧૭ થી ૧૮ જુલાઈમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો આ કારણે ૧૯થી ૨૪ જુલાઈ ગુજરાતમાં વરસાદ થશે. કેટલાક ભાગોમાં આ સમયે ભારેથી અતિભારે વરસાદ થશે.

 

(જી.એન.એસ)