Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : વિવેકાનંદ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ બહાર ભજીયા તળી વિરોધ નોંધાવ્યો

અમદાવાદની વિવેકાનંદ કોલેજનું શૈક્ષણિક સત્ર શરૂ થયાના બે મહિના થવા છતા કોલેજનું સીલ ખોલવામાં આવ્યુ નથી

અમદાવાદ, તા. ૨૬
રાજકોટમાં બનેલા ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ બાદ આખા રાજ્યમાં તમામ શાળા-કોલેજાે, હોટેલ, રેસ્ટોરન્ટ્‌‌સ, મોલ, મલ્ટીપ્લેક્સિસ સામે ફાયર સેફ્‌ટીને લઈને કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમા ફાયર સેફ્‌ટી કે, બીયુ પરમિશન ન ધરાવતા એકમોને સીલ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી અંતર્ગત અમદાવાદની રાયપુરમાં આવેલી વિવેકાનંદ કોલેજને સત્ર શરૂ થાય એ પહેલા જૂન મહિનાથી સીલ કરાઈ છે અને હાલ શૈક્ષણિક સત્ર શરૂ થયાના બે મહિના થવા છતા કોલેજનું સીલ ખોલવામાં આવ્યુ નથી. ત્યારે કોલેજના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે.

કોલેજનું સીલ ખોલવા અંગે અનેક રજૂઆત કરવા છતા અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સીલ ખોલવામાં આવ્યુ નથી. ત્યારે વિદ્યાર્થીઓએ કોલેજ બહાર ભજીયા તળી વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓનું કહેવુ છે કે, છેલ્લા બે મહિનાથી તેમનો અભ્યાસ બગડી રહ્યો છે. વિદ્યાર્થીઓનુ કહેવુ છે કે, અમે ભણીશુ નહીં તો એક્ઝામ્સમાં ફેલ થઈશુ તો અમારે પકોડા વેચવાનો જ વારો આવશે. જે અમે અત્યારથી જ શરૂ કરી દીધુ છે.

થોડા સમય પહેલા પણ આ કોલેજના અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓને રોડ પર બેસીને ભણાવવામાં આવતા હતા. વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે અને કદાચ તંત્રની આંખ ખૂલે અને વિદ્યાર્થીઓના હિતમાં કોલેજનું સીલ ખોલે તે માટે વિદ્યાર્થીઓને બહાર રોડ પર અધ્યાપકો અભ્યાસ કરાવતા જાેવા મળ્યા હતા. જાે કે, કાયમી રોડ પર અભ્યાસ કરાવવો શક્ય પણ નથી. કોલેજના જ એક સ્ટાફ મેમ્બરના જણાવ્યા મુજબ વિવેકાનંદ કોલેજમાં બે માળની બીયુ પરમિશન છે, પરંતુ ત્રીજા માળે જે બાંધકામ કરવામાં આવ્યુ છે તેની બીયુ પરમિશન નથી. તેમા પણ બીયુ પરમિશન અંગેની એપ્લિકેશન દોઢ વર્ષ અગાઉ આપવામાં આવી હોવાં છતાં પણ તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી આજ દિન સુધી કરાઈ નથી. હાલ તેમની માગ છે કે, કોલેજનો જેટલો ભાગ કાયદેસર છે તે ભાગ ખોલવામાં આવે તો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે.

આ બાબતે વિદ્યાર્થીઓની રજૂઆત છે કે, તાજેતરમાં UPSCની પરીક્ષા માટે કોલેજનું સીલ ખોલવામાં આવ્યુ હતુ, જાે UPSCની પરીક્ષા માટે પાંચ દિવસ કોલેજ ખોલી શકાતી હોય તો તેમના માટે કેમ નહીં. વિદ્યાર્થીઓ આક્રોશ સાથે જણાવી રહ્યા છે કે, કોલેજનું સીલ ખોલો અથવા ઈચ્છામૃત્યુની પરવાનગી આપો. હાલ મહાનગરપાલિકા દ્વારા હંગામી ધોરણે, શરતોને આધીન પ્રીપ્રાઈમરી સ્કૂલ્સ, હોટેલ અને રેસ્ટોરન્ટ્‌‌સ સહિત અન્ય એકમોને મંજૂરી આપી છે તો માત્ર આ વિવેકાનંદ કોલેજને કેમ મંજૂરી આપવામાં નથી આવી રહી તેવા વેધક સવાલ વિદ્યાર્થીઓ દ્વારા તંત્ર સામે કરાયા છે.

 

(જી.એન.એસ)