Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

હોળી-ધુળેટીના પવિત્ર દિવસે સિવિલ હોસ્પિટલ અમદાવામાં વહી અંગદાનની સરવાણી

(અબરાર એહમદ અલવી)

સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાકમાં ત્રણ અંગદાન
…….
અંગદાનમાં કુલ ૦૯ અંગો અને ૪ આંખોનું દાન મળ્યું
…….
સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૧૮૪ અંગદાન થકી ૬૦૦ અંગોનુ દાન મળ્યુ જેના થકી ૫૮૨ જરૂરીયાતમંદને મળ્યું નવજીવન
…….
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હોળી-ધુળેટીના પવિત્ર દિવસે દાનની સરવાણી વહી છે.
૨૪ કલાકમાં કુલ ત્રણ અંગદાન થયા છે.

પ્રથમ અંગદાન

૫૫ વર્ષના વયોવૃદ્ધ પડી જતા માથાના ભાગે ઇજા થઇ. તારીખ ૧૦ માર્ચના રોજ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા ‌જ્યાં સારવાર દરમ્યાન ૧૪ માર્ચના રોજ સિવિલના ડોક્ટરોની ટીમે દર્દી બ્રેઇન ડેડ હોવાનું પરીવારજનોને જણાવતા પરીવારજનોએ તેમના અંગદાન થકી બીજા કોઇનો જીવ બચાવવા ગુપ્ત અંગદાન કરવાનો નિર્ણય કર્યો. તેમના અંગદાનથી બે કીડની અને બે આંખોનુ દાન મળ્યું.

બીજા કિસ્સામાં
મુળ જુનાગઢના ૫૫ વર્ષીય કરશનભાઇ બાતાને અકસ્માત થતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ. જેથી તેમને પ્રથમ જુનાગઢ સિવિલ હોસ્પિટલ ત્યારબાદ જુનાગઢની જ પ્રાઇવેટ હોસ્પિટલમાં અને પછી વધુ સારવાર અર્થે તારીખ ૧૨ માર્ચના રોજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા‌. અહીં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તા. ૧૪.૦૩.૨૦૨૫ના રોજ ડૉક્ટરોએ કરશનભાઇને બ્રેઈનડેડ જાહેર કરી પરીવારજનોને આવી પરીસ્થીતીમાં અંગદાન નુ મહ્ત્વ જણાવી અંગદાન કરવા સમજાવ્યા. સિવિલ હોસ્પીટલ ખાતે હાજર કરશન ભાઇના પત્ની અને એક ના એક દીકરાએ અંગદાનના આ પવિત્ર કાર્ય માટે હામી ભરી પરોપકારી ઉમદા નિર્ણય કર્યો. કરશનભાઇના અંગદાનથી ૨ કીડની તેમજ એક લીવરનુ દાન મળ્યુ.

ત્રીજુ અંગદાન
મહેમદાવાદ ખેડાના રહેવાસી ૫૨ વર્ષીય નગીનભાઇ પરમારને તારીખ ૯ માર્ચના રોજ મગજની નસ ફાટતા પોતાના ઘરે બેભાન થઇ ઢ્ળી પડતા પ્રથમ મહેમદાવાદ સિવિલ હોસ્પિટલ ત્યારબાદ નડીયાદ સિવિલ અને પછી વધુ સારવાર અર્થે તારીખ ૯ માર્ચની સાંજે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા.

સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે નગીનભાઇ બ્રેઇન ડેડ થતા તે અંગેની જાણ તારીખ ૧૪.૦૩.૨૦૨૫ના રોજ પરીવારજનોને કરી. અંગદાન વિશે સમજાવતા તેમના પુત્ર અને અન્ય તમામ પરીવારજનોએ નગીન ભાઇના જે પણ અંગો કોઇ બીજાના કામમાં આવે તેવા હોય તે લઇ શક્ય તેટલા લોકોનો જીવ બચાવવાનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો. નગીનભાઇના અંગદાનથી હ્રદય, બે કીડની તેમજ એક લીવર તથા બે આંખોનુ દાન મળ્યુ.

સિવિલ હોસ્પિટલમાં થયેલ આ ત્રણ અંગદાનથી મળેલ ૬ કીડની અને ૨ લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરુરીયાત્મંદ દર્દીઓમાં તેમજ હ્રદયને ગ્રીનકોરીડોર મારફતે અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીને પ્રત્યારોપણ કરવામાં આવશે. અંગદાનથી મળેલ ૪ આંખોનુ દાન સિવિલ મેડીસીટી કેમ્પસની એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યુ.

અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, આ ત્રણ અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૬૦૦ અંગોનું દાન મળેલ છે. જેના થકી ૫૮૨ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૩૩૪ કિડની, લીવર -૧૬૦, ૫૮ હ્રદય, ૩૦ ફેફસા, ૯ સ્વાદુપિંડ, બે નાના આંતરડા, પાંચ સ્કીન અને ૧૨૪ આંખોનું દાન મળ્યું છે.

પ્રેમ અને રંગોના પ્રતિક સમાન હોળી ધુળેટીના તહેવારમાં પોતાના વ્હાલ્સોયા સ્વજનના અંગોના દાન થકી આ ત્રણ અંગદાતા પરીવારજનોએ કુલ 9 લોકોને અંગદાન થકી અને 4 લોકોને આંખોનુ દાન આપી તેમના જીવનમાં નવા રંગો પુર્યા.