બધું જ પામીને છોડવા માટે અને બધું જ છોડીને પામવા માટે જે જન્મી છે તેનું નામ છે “પુત્રી એટલે કે એક સ્ત્રી”
એક પિતા અને તેમની દિકરી સાથેની આ મનમોહક પળો વહાલ અને વિશ્વાસનો અનોખો સ્પર્શ આપી જાય છે..!
સ્ત્રીના સમર્પણ વિષે આપણે ખુબ લખીયે છીએ, માતા અને સંતાનના સંબંધ પર પણ લખાય અને સાંભળીયે છે. પિતા અને પુત્રીના સંબંધ વિષે ઘણું ઓછું વાંચવા મળે છે. આપણે સ્ત્રીને મહાનતાની મૂર્તિ બનાવી દીધી છે….. ત્યાગ, સમર્પણ, સહનશીલતા, લાગણી આ બધા શબ્દો આપણે માત્ર સ્ત્રી માટે જ ઉપયોગમાં લઈએ છીએ. પણ જયારે પિતા પુત્રી વચ્ચેના સંબંધને નજરમાં રાખીયે તો પુરુષ પણ આ બધા ગુણોમાં અવ્વલ જ આવે. સંતાનના જન્મ પછી કહેવાય છે કે, માતાનો બીજો જન્મ થાય છે…! પણ જો પુત્રીનો જન્મ થાય તો પુરુષનું પણ નવું રૂપ જોવા મળે છે.
પિતા પુત્રી વચ્ચેનો સંબંધ કેટલો મજબૂત કે, પ્રેમાળ હોય છે એ લખાતો કે, વર્ણવાતો નથી. બંને એકબીજાના આદર્શ હોય છે. દીકરી નાની હોય ત્યારે એના દરેક નાના નાના કામ ……એની સાથે રમવું, એને ખવડાવું, એને સુવડાવવું, એને પટાવવું ….જે પુરુષે ક્યારેય ન કર્યા હોય છતાં શીખી પણ લે છે ને પ્રેમથી કરી પણ લે છે. એને ક્યારેય દીકરીના કોઈપણ કામ માટે કંટાળો નથી આવતો…..(આમાં અપવાદ હોય શકે પણ બહુ ઓછા) એની વણબોલાયેલી માંગણી પણ પિતા ને સમજાય છે અને પુરી થઇ જાય છે. દીકરીના મોજશોખથી લઇ ભણતર, ભવિષ્ય, જિંદગીભર સુખ માટેની બધી યોજના એક પિતા બખૂબી યોજી લે છે. એ પણ કોઈને ઢંઢેરો પીટ્યા વગર….. દીકરીની સલામતીની જવાબદારી તો પિતા સ્વહસ્તે ઉપાડે છે. ક્યારેય કોઈનું ન સાંભળતો પુરુષ પણ દીકરીની વઢ સાંભળી લે છે. દીકરી માટે પણ એના પિતાના કાર્ય, વર્તણુક, સંસ્કાર બધું જીવવા માટેનો આદર્શ હોય છે. એ ભલે બધી વાત માતા સાથે કરે પણ છેલ્લે એમ તો કહેશે જ કે “પપ્પા ને કેહજે પણ એમને ચિંતા ન થાય એમ અને એટલું જ કહેજે”.
દીકરી કોઈપણ ભૂલ પર કે, તકલીફમાં પિતા એને ખીજાઇ નહિ શકે….. ફક્ત સમજાવશે, આગળ વધવાનો રસ્તો બતાવશે .. .. આ માર્ગદર્શન અને સાથ પિતા જેટલો સારી રીતે કોઈ નહિ આપી શકે. દુનિયાભરમાં પુરુષ તરીકે સૌથી સલામત ચહેરો દીકરી માટે એક પિતાનો જ હોય છે. સ્ત્રી માતા બધું બોલી બોલીને જતાવી દેશે પણ પુરુષ પીતા કયારેય નહિ બોલે કે, એણે શું કર્યું ?, કેટલું કર્યું ?, કેવીરીતે કર્યું ?….દીકરી સમજણી થાય પછી પિતાની દરેક વાતનું ચીવટથી ધ્યાન રાખે છે. તકલીફમાં જયારે પોતાના હાથની વાત નહિ રહે ત્યારે જ પિતા સુધી પહોંચવા દેશે એમાં પણ ચિંતા ન કરશો એમ કહી વાત સંભાળવાની નિરર્થક કોશિષ કરશે.
“સંવાંદ ઓછો ને સમજણ વધુ” એવો આ સંબંધ પાપાપગલી શીખવાડવાથી શુરુ થઇ લાકડીના ટેકે ચાલતી જીવન ની અંતિમ ક્ષણ સુધી અતૂટ રહે છે. એ પછી પણ પિતાની આપેલી કે, શિક્ષણ ગુણો જીવનભર આધાર બની રહે છે.
સમયની સાથે સાથે આગળ વધતા પુત્રી મોટી થાય છે તેને ભણાવી ગણાવી તેના કન્યાદાનની તૈયારીઓમા પિતા જોતરાઇ જાય છે એટલે જ કહેવાય છે કે કન્યાદાન.
કન્યાદાનનો સાચો મતલબ
કન્યાદાન શબ્દ પર લોકોને ખુબ જ ખોટી માનસીકતા થઇ છે કે, કન્યા દાન મતલબ દિકરી (કન્યા)નું દાન
સમાજને આ વાત ખુબજ સમજવા જેવી છે કે, કન્યાદાન મતલબ દિકરીનું દાન નહીં પરંતુ ગોત્રદાન થાય છે.
કન્યા પિતાનું ગોત્ર છોડી પતિના ગોત્રમાં પ્રવેશ કરે છે. એક પિતા પુત્રીને એના ગોત્રમાંથી વિદાય આપે છે અને દિકરી પિતાના ગોત્રમાંથી વિદાઇ લઇ પતિના ગોત્રમાં પ્રવેશ કરે છે અને પિતા પોતાનું ગોત્ર અગ્નિમાં દાન કરે છે અને પતિ અગ્નિની શાક્ષીએ એનું ગોત્ર આપી એના ગોત્રમાં સ્વીકારે છે. આ છે ખરો કન્યાદાનનો મતલબ.
કોઇ માં-બાપ માટે પોતાની દિકરી વસ્તું નથી જે દાન આપે પણ …કન્યાદાનનો સાચો મતલબ આ છે.
બધું જ પામીને છોડવા માટે અને બધું જ છોડીને પામવા માટે જે જન્મી છે તેનું નામ છે “પુત્રી એટલે કે એક સ્ત્રી”
પિતાના હેતનો દરિયો તે દીકરી ……
માતાની મમતાની હેલી તે દીકરી ……
ઘરમાં અનુશાસનની રખેવાળ તે દીકરી ……
જે ઘરમાં દીકરી નહીં લાગણીના ત્યાં વમળ નહીં …
એટલે તો પિતા અને પુત્રીનો એક કમાલનો સબંધ છે. પિતાને પુત્રીનું કંઈ લેવું જ નથી અને પુત્રીને પિતા માટે બધું જ આપી દેવું છે. સૃષ્ટિના સર્જનહારે આ સંબંધમાં ખોબો ભરીને પ્રેમ ઢોળી નાખ્યો છે. ગયા સાત ભવમાં જેણે પુણ્ય કર્યા હોય એને જ આ ભવમાં દીકરી મળે છે.
પૂજા રોનક પટેલ અમદાવાદ