Safeer News

Breaking News from Ahmedabad

દેશ

છેલ્લા વર્ષમાં અનેક વસ્તુના ભાવમાં વધારો થયો, મોંઘવારીથી સામાન્ય લોકો પરેશાન

નવીદિલ્હી,તા.૨૪
દેશમાં વધી રહેલી મોંઘવારી પર ગ્રાહક મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, છેલ્લાં ૧ વર્ષમાં ૬૫ ટકા મોંઘવારી વધી છે. ખોરાકના ઉપયોગમાં આવતી દરેક વસ્તુના ભાવમાં ધરખમ વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓના બજેટ પર મોટી અસર થઈ છે તો લોકોના ખિસ્સા પણ ખાલી થઈ રહ્યા છે.

મોંઘવારીએ કઈ રીતે જનતાની કમર તોડી નાંખી..?

હવે તમને એમ થતું હશે કે, કઈ વસ્તુના ૧ વર્ષમાં કેટલાં ભાવ વધ્યા તો તેના પર નજર કરીએ.

વર્ષ ૨૦૨૩માં ૧ કિલો તુવેરની દાળનો ભાવ ૧૨૮ રૂપિયા હતો જે આજે ૧૬૧ રૂપિયા સુધી પહોંચ્યો છે. એટલે કે, ૧ વર્ષમાં તુવેરની દાળ ૩૩ રૂપિયા મોંઘી થઈ ગઈ છે. વર્ષ ૨૦૨૩માં ૧ કિલો અડદની દાળનો ભાવ ૧૧૨ રૂપિયા હતો જે આજે ૧૨૭ રૂપિયા સુધી પહોંચ્યો છે એટલે કે, ૧ વર્ષમાં અડદની દાળ ૧૫ રૂપિયા મોંઘી થઈ છે. વર્ષ ૨૦૨૩માં ૧ કિલો બટાકાનો ભાવ ૨૨ રૂપિયા હતો. જે આજે ૩૨ રૂપિયા છે એટલે કે, ૧ વર્ષમાં બટાકાનો ભાવ ૧૦ રૂપિયા વધી ગયો છે. વર્ષ ૨૦૨૩માં ૧ કિલો ડુંગળીનો ભાવ ૨૩ રૂપિયા હતો જે આજે ૩૮ રૂપિયા છે એટલે કે, ૧ વર્ષમાં ગરીબોની કસ્તુરી ૧૫ રૂપિયા મોંઘી થઈ ગઈ છે. વર્ષ ૨૦૨૩માં ૧ કિલો ટામેટાંનો ભાવ ૩૨ રૂપિયા હતો. જે આજે ૪૮ રૂપિયા છે એટલે કે, ૧ વર્ષમાં ટામેટાં ૧૬ રૂપિયા મોંધા બની ગયા છે. માત્ર શાકભાજી કે, દાળ જ નહીં પરંતુ દૂધના ભાવમાં પણ આ વર્ષે વધારો થયો છે. અમૂલ ગોલ્ડના ૧ લીટરના ભાવમાં આ વર્ષે ૨ રૂપિયાનો વધારો થયો. જ્યારે અમૂલ તાજામાં ૬ રૂપિયાનો વધારો ઝીંકાયો. તેલના ભાવ હોય કે, દૂધના ભાવ હોય. શાકભાજીના ભાવ હોય કે, ફળફળાદીના ભાવ, દરેક જગ્યાએ ૧ વર્ષમાં એટલો ભાવ વધ્યો છે કે, ગૃહિણીઓનું બજેટ તો ખોરવાયું છે જ પરંતુ મધ્યમ વર્ગને સૌથી વધારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

હાલ તો મોંઘવારીના બોજ નીચે મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. ત્યારે આશા રાખી રહ્યા છે કે, કેન્દ્ર સરકાર મોંઘવારી પર અંકુશ લાવે. જેથી તેમનું ભરણપોષણ થઈ શકે. મોંઘવારી અંકુશમાં નહીં આવે તો લોકોને બે ટંક ખાવાના પણ ફાંફા પડી જશે.

 

(જી.એન.એસ)