Safeer News

Breaking News from Ahmedabad

દેશ

કોલકાતાની ઘટનામાં પીડિતાની માતાએ જણાવી હકીકત

તે સમયના દર્દનાક દ્રશ્યનું વર્ણન કરતાં પીડિતાની માતાએ કહ્યું કે, તેનું પેન્ટ ખુલ્લું હતું, તેના શરીર પર માત્ર એક કપડાનો ટુકડો હતો.

હોસ્પિટલની અંદર ડોક્ટર સાથે બનેલી આ ઘટના બાદ સમગ્ર દેશમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.

કોલકાત્તા,તા.૧૯
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં મૃતક પીડિતાની માતાનું નિવેદન સામે આવ્યું છે. પીડિતાની માતાએ તે દિવસની આખી ઘટના વર્ણવી છે, જ્યારે તેમને ઘટના પછી પ્રથમ વખત તેમની પુત્રીની લાશ જાેઈ હતી. આ સિવાય તેમને હોસ્પિટલમાંથી આવેલા કોલનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં હકીકત છુપાવવામાં આવી રહી હતી. પીડિતાની માતાએ સીએમ મમતા બેનર્જી સાથે થયેલી વાતચીત વિશે પણ જણાવ્યું છે.

મીડિયા સાથે વાત કરતા પીડિતાની માતાએ કહ્યું કે, જ્યારે મને પહેલીવાર હોસ્પિટલમાંથી ફોન આવ્યો ત્યારે કહેવામાં આવ્યું કે, તમારી દીકરી બીમાર છે અને પછી કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો. પછી જ્યારે મેં ફોન કરીને પૂછ્યું કે, શું થયું..? તો તેઓએ મને હોસ્પિટલમાં આવવા કહ્યું. જ્યારે અમે ફરીથી ફોન કર્યો ત્યારે ફોનનો જવાબ આપનાર વ્યક્તિએ પોતાનો પરિચય આસિસ્ટન્ટ સુપરિટેનડન્ટ તરીકે આપ્યો અને કહ્યું કે, તમારી પુત્રીએ આત્મહત્યા કરી છે.

પીડિતાની માતાએ વધુમાં કહ્યું કે, મારી દીકરી ગુરુવારે ડ્યુટી માટે ગઈ હતી અને અમને શુક્રવારે રાત્રે ૧૦.૫૩ વાગ્યે આ ફોન આવ્યો હતો. જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો અમને તેને જાેવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી. પછી અમને રાત્રે ૩ વાગ્યે તેને જાેવાની મંજૂરી આપવામાં આવી. તે સમયના દર્દનાક દ્રશ્યનું વર્ણન કરતાં માતાએ કહ્યું કે, તેનું પેન્ટ ખુલ્લું હતું, તેના શરીર પર માત્ર એક કપડાનો ટુકડો હતો. તેના હાથ ભાંગી ગયા હતા. આંખો અને મોંમાંથી લોહી વહી રહ્યું હતું. તેને જાેઈને જ એવું લાગી રહ્યું હતું કે, જાણે કોઈએ તેની હત્યા કરી હોય. મેં તેમને કહ્યું કે, આ આત્મહત્યા નથી, હત્યા છે. પીડિતાની માતાએ કહ્યું કે, અમે અમારી દીકરીને ડોક્ટર બનાવવા માટે ઘણી મહેનત કરી, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે.

ઘટના બાદ સીએમ મમતા બેનર્જીએ પીડિતાની માતા સાથે ફોન પર વાત કરી હતી. જ્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ગુનેગારોને જલદીથી પકડવામાં આવશે, પરંતુ હજુ સુધી કંઈ થયું નથી. એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મને ખાતરી છે કે, આ ઘટનામાં હજુ પણ ઘણા લોકો સંડોવાયેલા છે. આ ઘટના માટે સમગ્ર વિભાગ જવાબદાર છે. પોલીસે પણ સારી રીતે કામ કર્યું નથી. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, મને લાગે છે કે, મુખ્યમંત્રી વિરોધને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે તેઓએ કલમ ૧૪૪ લગાવી દીધી છે, જેથી લોકો વિરોધ ન કરી શકે.

હોસ્પિટલની અંદર ડોક્ટર સાથે બનેલી આ ઘટના બાદ સમગ્ર દેશમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. ઘણા શહેરોમાં ડોક્ટરો હડતાળ પર છે અને આરોગ્ય સેવાઓ પ્રભાવિત થઈ છે. આ ઘટના પછી ૧૫ ઓગસ્ટની મધ્યરાત્રિએ શાંતિપૂર્ણ વિરોધ દરમિયાન હજારો લોકો હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાં ભારે હંગામો કર્યો. ત્યારપછી પોલીસે અનેક લોકોની ધરપકડ કરી છે.

 

(જી.એન.એસ)