Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

“ઓલિયા-એ-ગુજરાત :- ભાગ ૩” : આંખોના પીર “સૈયદ એહમદ જાફર શીરાઝી” (રેહ.)

(અબરાર એહમદ અલવી)

“સૈયદ એહમદ”ના મઝારે પૂર અન્વારના દરવાજાની ચોખટ પર જંઝીર (સાંકળ) લટકેલી રહે છે. દરેક પ્રકારની આંખોની બિમારીના મરીઝ એ સાંકળ આંખો પર ફેરવીને આજે પણ શીફા મેળવી રહ્યાં છે

અમદાવાદ શહેરને ઓલિયાઓનો શહેર પણ કહેવામાં આવે છે. અમદાવાદ શેહરની સ્થાપના જ ચાર એહમદ દ્વારા કરવામાં આવી છે અને અમદાવાદ શહેરમાં અનેક ઓલિયા આરામ ફરમાવી રહ્યા છે. જે પૈકીના એક છે “હઝરત એહમદ જાફર શીરાઝી” (રહ).

આપનું મુબારક નામ “સૈયદ એહમદ” છે. આપ મૂળ શિરાઝના વતની હતા માટે જ શીરાઝી કહેવાય છે. આપ હઝરત એહમદના પુત્ર છે આપના દાદા “સૈયદ મહમુદ” શીરાઝથી સીંધ આવ્યાં અને આપના પિતા “સૈયદ જાફર” સીંધથી ગુજરાતના અમદાવાદ આવ્યાં. હઝરત એહમદ જાફર શીરાઝી (રહ)નો જન્મ આમદાવાદમાં થયો હતો. આપ પોતાના પિતા સૈયદ એહમદના અનુયાઇ હતા અને તેમની પાસેથી ઇલ્મે દીન હાસીલ કરી આલીમે દીન બન્યાં હતા. આપના વાલીદે આપને ખીલાફત આપીને સીંધ પરત ફર્યા હતા આપના પિતાનું મઝાર સિંધના ઠઠામાં છે.

સૈયદ એહમદ ઇલ્મમાં પારંગત હોવા ઉપરાંત ઇલ્મે તજવીદમાં પણ નિપૂણ હતા આપે ઘણા ઉચ્ચ કોટીના બુઝુર્ગો પાસેથી તસવ્વુફનું જ્ઞાન સંપાદન કર્યું હતું. આપ તહજ્જુદની બે રકાતમાં કુર્આને પાકના પંદર પારા પઢતા વધુ સવાબની નિય્યતથી પગ પાળા હજ અદા કરી હતી. માર્ગમાં અનેક વિટંબણાઓ ઉઠાવી ટાઢ, તડકો અને વરસાદી કષ્ટો પણ સહન કર્યા રસ્તામાં ખોરાક ન મળતો તો ઝાડના પાંદડા ખાઇને ભુખ મટાડતા. આ રીતે આપે હજ અદા કરી હતી.

મુઘલ બાદશાહ હુમાયુંએ જ્યારે ગુજરાત પર હુમલો કર્યો તે સમયે મોટાભાગના ઉલ્મા તથા મશાઇખો બીજા શહેરોમાં ચાલ્યાં ગયાં હતાં પરંતુ આપ પોતાની ખાનકાહમાં પોતાના અકીદમંદો તથા મુરીદોની સાથે જ રહ્યાં. આ કપરા દિવસોમાં આપ દરરોજ દરેકને બે શેર અનાજ આપતા. આપ જીવનના મોટા ભાગના વર્ષો સુધી લગભગ 40 વર્ષ સુધી એકાંતમાં રહ્યાં ફકત જુમ્મા અને ઇદની નમાઝ વખતે પોતાના હુજરા (ઓરડી)માંથી બહાર નીકળતા હતા. પોતાના હુજરાની સામે જ પાંચ વકતની નમાઝ જમાત સાથે અદા કરતા.

આપના જીવનકાળ દરમ્યાન એક દુઃખદ બનાવ એવો બન્યો કે, આપના દિલને ભારે ઠેસ પહોંચી આપ 12 વર્ષ સુધી પોતાના હુજરામાંથી નીકળ્યા નહી. તેનું કારણ હતું કે ચિત્તોડગઢનો રાજા રાણા્સાંગાએ અહમદ નગર પર હુમલો કર્યો અને સૈયદ કુટુંબની સ્ત્રીઓનું અપહરણ કરીને લઇ ગયો જેના કારણે આપ ગોશાનશીન (એકાંત) થઇ ગયાં અને અહદ કર્યો કે, જ્યાં સુધી ગુજરાતનો બાદશાહ સૈયદ ઝાદીઓને છોડાવીને લાવશે નહીં ત્યાં સુધી હુજરાની બહાર નહી આવું આખરે સુલ્તાન બહાદુર શાહે ચિત્તોડ ઉપર આક્રમણ કરી ચિત્તોગઢને જીતી લીધું ત્યારે આપ હુજરામાંથી બહાર નીકળ્યાં.

સૈયદ એહમદ જાફર શીરાઝી (રહ)નો મઝાર આસ્ટોડિયા વિસ્તારમાં રાણી સીપ્રીની મસ્જીદની સામે છે. આ મસ્જિદને ખજૂરવાલી મસ્જીદ તરીકે ઓળખાય છે આપને “આંખોના પીર” તરીકે પણ ઓળખવામાં આવે છે. આપનો આ ફૈઝ આજે પણ જારી છે આજે પણ જુદા-જુદા પ્રકારની આંખોની બીમારીથી પીડાતા લોકો આપના દર પરથી શીફા પામે છે. આપના મઝારે પૂર અન્વારના દરવાજાની ચોખટ પર જંઝીર (સાંકળ) લટકેલી રહે છે. દરેક પ્રકારની આંખોની બિમારીના મરીઝ એ સાંકળ આંખો પર ફેરવીને આજે પણ શીફા મેળવી રહ્યાં છે આપનો સંદલ 15 સફરે મનાવવામાં આવે છે.