Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

૧૨મા ધોરણની પરીક્ષા રદ કરવાનો ગુજરાત સરકારનો નિર્ણય

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસની મહામારીને કારણે ૧૨મા ધોરણના વિદ્યાર્થીઓનું ભવિષ્ય લટકતી તલવાર જેવું થઈ ગયું છે. ગુજરાત રાજ્યમાં પણ પરિસ્થિતિ કંઈક આવી જ હતી. પણ આખરે વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. ગુજરાત બોર્ડની ૧૨મા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય સરકારે લીધો છે.

ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાએ આજે બપોરે જાહેરાત કરી છે કે, રાજ્યમાં ૧૨મા ધોરણની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ગઈકાલે વિદ્યાર્થીઓના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદથી ગુજરાત શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ પણ પરીક્ષા બાબતે શું કરવું તે અંગે ચિંતામાં હતા. કારણકે ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષાનું સમયપત્રક પહેલેથી જ જાહેર કરી દીધું હતું. એટલે આજે ગુજરાત સરકારે તાત્કાલિક બેઠક બોલાવીને આ અંગે શું કરવું તે અંગે વિચારણા કરી હતી. આ વિચારણાના અંતે રાજ્ય સરકારે આજે મળેલી કેબિનેટની બેઠકમાં સત્તાવાર નિર્ણય જાહેર કર્યો કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ધોરણ બારમાની પરીક્ષાઓ રદ કરવામાં આવી રહી છે.

ચાલુ વર્ષે ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં ધોરણ ૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહના કુલ ૬,૯૨,૦૦૦ વિદ્યાર્થીઓ છે. પહેલા આ વિદ્યાર્થીઓની પરીક્ષા પહેલી જુલાઈથી શરુ થવાની હતી. ગઈકાલે ટાઈમટેબલ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *