Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

લાલદરવાજાનું ઐતિહાસિક બસ સ્ટેન્ડ નવા હેરિટેજ લૂક સાથે તૈયાર થશે

પ્રતિકાત્મક ફોટો

અમદાવાદ,
અમદાવાદની એક ઓળખ લાલ બસ, એટલે કે એએમટીએસ બસ. એએમટીએસનું મુખ્ય બસ સ્ટેન્ડ લાલદરવાજા બસ ટર્મિનસ હવે હેરિટેજ લુક સાથેનું નવું બસ ટર્મિનસ બનશે. ૬૫ વર્ષ જૂના બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપી નવું બનાવવા માટે ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં લાલ દરવાજા બસ ટર્મિનસની કામગીરી શરૂ કરવામાં આવશે. હેરિટેજ લુક સાથેનું નવું બસ સ્ટેન્ડ કેવું હશે અને એમાં કેવી સુવિધાઓ હશે એના માસ્ટર પ્લાન સાથેની વિગતો સૌપ્રથમ DivyaBhaskar પર બતાવવામાં આવી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમટીએસ કમિટીના ચેરમેન વલ્લભભાઈ પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લાલ દરવાજા બસ સ્ટેન્ડની આસપાસ ઐતિહાસિક ઇમારતો આવેલી હોવાથી દિલ્હીથી આર્કિયોલોજી વિભાગ પાસેથી મંજૂરી સહિત અન્ય પ્રક્રિયામાં વિલંબ થયો હતો, જે દૂર થતાં હવે આગામી દિવસોમાં નવું હેરિટેજ લુક સાથે બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ થશે અને એક વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં બનીને અમદાવાદીઓને માટે શરૂ કરી દેવામાં આવશે.

વર્ષ ૧૯૫૫-૫૬માં બનાવવામાં આવેલા લાલ દરવાજા એએમટીએસ ટર્મિનસને બનાવવા માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ ૨૦૧૬-૨૦૧૭માં રિનોવેશન માટે ૧.૫ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૨.૫ કરોડ એમ કુલ ૪ કરોડ રૂપિયા મંજૂર થયા હતા. વર્ષ ૨૦૧૮માં શ્રીજી કન્સ્ટ્રક્શન દ્વારા લાલદરવાજા બસ સ્ટેન્ડ પર પ્લેટફોર્મ નંબર ૦ પર મુખ્ય બિલ્ડિંગ અને પ્લેટફોર્મ તોડી નાખ્યું હતું. રાણીપ મલ્ટીમોડલ હબના પ્રોજેકટને સફળતા મળે તો જ લાલદરવાજા ટર્મિનસનો PPE ધોરણે વિકાસ કરવાનું તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.

રાણીપ મલ્ટીમોડલ હબ પ્રોજેકટને હજી કોઈ સફળતા ન મળી હોવાથી અને કોરોનામાં આર્થિક સ્થિતિને જાેતાં હાલના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે હેરિટેજ થીમ પર નેશનલ મોનુમેન્ટ્‌સ ઓથોરિટીની મંજૂરીની મળેલી સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે મંજૂરી આપી હતી. વર્ષ ૨૦૧૯માં મંજૂર થયેલી દરખાસ્ત બાદ લાલદરવાજા ટર્મિનસના નવીનીકરણની કામગીરી શરૂ થવાની હતી, પણ બસ ટર્મિનસની ૨૦૦ મીટર નજીક આવેલી હેરિટેજ ઇમારતને કારણે દિલ્હી સ્થિત આર્કિયોલોજી વિભાગ પાસે પરવાનગી લેવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો. વર્ષ ૨૦૧૭માં ૫.૭૨ કરોડના ખર્ચે બનવાનું હતું. જાેકે લાલ દરવાજા મજૂર મહાજન ઓફિસ પાસે ૩ પ્લેટફોર્મ અને સોલર પેનલના રૂ. ૧૫.૭૫ લાખનો વધારો થતાં ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાયા બાદ અંદાજિત ૬.૫ કરોડના ખર્ચે અમદાવાદ શહેરનું નવું એએમટીએસ બસ ટર્મિનસ બનાવવામાં આવશે.

અમદાવાદમાં ૧૯૪૧માં સૌપ્રથમ વાર કોમવાદી રમખાણો થયાં હતાં અને વાતાવરણ ૧૯૪૬માં તીવ્ર બન્યું હતું. આવી કટોકટીના સમયગાળા દરમિયાન ખાનગી કંપનીઓ દ્વારા બસો બંધ કરવામાં આવી હતી અને તેથી નાગરિકો આવી વિકટ પરિસ્થિતિમાં અસલામતી અનુભવતા હતા. ખાનગી કંપનીઓ (ઑસ્ટિન અને સ્ટડબેકર)ની બસોની હાલત ઘણી ખરાબ હતી. વ્યાવસાયિક સંસ્થાઓના કેન્દ્રમાં નફાકારક હેતુ હતો, તેથી નાગરિકે જાહેર પરિવહન સેવા માટે ભારે માગ કરી. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ લોકોની મુશ્કેલીઓનો અંત લાવવા અને વાજબી દરે તેમને સારી સેવા આપવાનું ધ્યાનમાં રાખીને જાહેર ક્ષેત્રની બસસેવા શરૂ કરવાનું નક્કી કર્યું.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *