Safeer News

Breaking News from Ahmedabad

દેશ

રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો ઝીંકાયો

છેલ્લા ૮ મહિનામાં બાટલામાં ૧૬૫.૫૦નો ભાવ વધારો થયો
ન્યુ દિલ્હી,તા.૧૭

રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફરીથી એક વાર વધારો કરવામાં આવ્યો છે. આ વખતે ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા આઠ મહિનામાં રાંધણ ગેસ સિલિન્ડર ૧૬૮ રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે. કૉમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે સોમવારે જ નાણામંત્રી સીતારમણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો ઈનકાર કરી દીધો હતો અને તેના બીજા જ દિવસે રાંધણ ગેસના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.

નોંધનીય છે કે અત્યાર સુધી ૧૪.૨૦ કિલોગ્રામના સિલિન્ડરના ભાવ ૮૩૮.૫૦ રૂપિયા હતા જે ૨૫ રૂપિયાના વધારા બાદ ૮૬૩.૫૦ રૂપિયા થઈ ગયા છે. આ વર્ષે જાન્યુઆરીમાં સિલિન્ડરની કિંમત ૭૦૭ રૂપિયા આસપાસ હતી જે આઠ મહિનામાં વધીને ૮૬૩.૫૦ રૂપિયા થઈ ગઈ છે. નવા દર મંગળવાર એટલે કે આજથી લાગુ થશે. એક ઓગસ્ટે જ કૉમર્શિયલ સિલિન્ડર પર ૭૨.૫૦ રૂપિયાનો વધારો થયો હતો. હજુ સુધી કેટલી સબસિડી ખાતામાં પહોંચશે એ નક્કી નથી. ૧૯ કિ.ગ્રા.વાળા કૉમર્શિયલ ગેસ સિલિન્ડર ૧૬૪૪.૫૦ રૂપિયામાં ઉપલબ્ધ હશે.

ઉલ્લેખનીય છે કે એક વર્ષમાં પ્રત્યેક ગેસ કનેક્શન માટે ૧૪.૨ કિલોગ્રામના ૧૨ સિલિન્ડરો પર સરકાર સબસિડી આપે છે. ગ્રાહકોએ દરેક સિલિન્ડરની કિંમત ચૂકાવવાની હોય છે. બાદમાં સબસિડીના પૈસા ખાતામાં પાછા આવી જાય છે. જાે ગ્રાહક આનાથી વધુ સિલિન્ડર લેવા માંગે તો તેણે બજાર કિંમતે ખરીદવા પડે છે.

(જી.એન.એસ.)

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *