Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

પત્નીને મારી નિર્દયી પિતાએ ૩ માસુમોને ડેમના પાણીમાં ડૂબાડી દીધા

અરવલ્લી, તા.૦૫
મેઘરજના વૈડી ડેમમાંથી શનિવારે સાંજે ત્રણ બાળકો પાણીમાં ડૂબી ગયેલી હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી હતી. ઇસરી પીઆઈ વી.વી.પટેલ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ત્રણે બાળકોની લાશને ભારે જહેમત બાદ બહાર કાઢી હતી. બાળકોના વાલી વારસોની શોધખોળ હાથ ધરતા ચોંકવનારી હકીકતનો પર્દાફાશ થતા પોલીસ ચોંકી ઉઠી હતી.

શંકાશીલ સ્વભાવ ધરાવતા પિતાએ ત્રણેય બાળકોને ડેમમાં નાંખી હત્યા કરી ફરાર થઇ જતા ભારે રહસ્ય સર્જાયું હતું. ત્રણેય બાળકોની હત્યા કરતા પહેલા હત્યારા યુવકે તેની પત્નીને કુહાડીના જીવલેણ ઘા ઝીંકતા પત્ની પણ હિંમતનગરના દવાખાનમાં સારવાર હેઠળ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. મેઘરજના રમાડ ગામમાં રહેતા જીવાભાઈ કચરાભાઈ ડેંડુણનો શંકાશીલ સ્વભાવ સમગ્ર ઘટના સર્જવા માટે કારણભૂત છે. આ શંકાશીલ સ્વભાવને કારણે તે પત્ની જીવીબેન પર વહેમ રાખી અવાર-નવાર મારઝૂડ કરતો હતો. પોતાની પત્ની ડાકણ હોવાનો વહેમ રાખતો હતો. વહેમીલા સ્વભાવના કારણે ઘરકંકાસ થતો રહેતો હતો. જીવાના મગજમાં ફરીથી વહેમનો કીડો સળવળાટ કરતા પત્ની સાથે ઝઘડો કરી માથાના તેમજ શરીરના અન્ય ભાગો પર કુહાડીના જીવલેણ ઘા ઝીંકી દીધા હતા.

આ ઘટના બાદ પત્ની તરફડીયા મારતી ઘરમાં પડી રહી હતી. ત્યારે એટલેથી ન અટકતા મગજમાં ઝનૂન સવાર થયેલો પતિ ઘરમાં રહેલા ત્રણ બાળકોને લઇ નીકળી ગયો હતો. ત્રણેય માસુમોને ગામ નજીક આવેલા વૈડી ડેમમાં પાણીમાં ડુબાડી દઈ હત્યા કરી ફરાર થઇ ગયો હતો. આ ઘટના બાદ પરિવારજનો અને પિયરપક્ષના લોકો ઘટનાસ્થળે પહોંચી ત્રણે બાળકોના મૃતદેહ જાેઈ ભાંગી પડ્યા હતા અને રોકોકકળ કરી મૂકી હતી. ઇસરી પોલીસે ત્રણે મૃતક બાળકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઇસરી પોલીસે કલજીભાઈ જીવાભાઈ ડામોરની (રહે,મોટી પંડુલી) ફરિયાદના આધારે હત્યારા પતિ જીવા કચરા ડેંડુણ વિરુદ્ધ ઇપીકો કલમ-૩૦૨, ૩૦૭ અને જીપી એક્ટ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું કે, સમગ્ર મામલે રમાડ ગામના જીવાભાઈ કચરાભાઈ ડેંડુંણ સામે પત્નીને માર મારવા તેમજ બાળકોને ડેમમાં નાંખી દઈ મોત નિપજાવવા મામલે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ માટે એફએસએલ તેમજ ડોગ સ્કવોડ દ્વારા તપાસ કરવામાં આવી છે.

શંકાથી કંકાસ સર્જાય છે અને કંકાસથી કત્લેઆમ થઇ જતા વાર નથી લાગતી. અરવલ્લીના મેઘરજના ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રમાડ ગામમાં હૈયું ધ્રુજાવી નાખે તેવી ઘટના બની છે. શંકાશીલ સ્વભાવ ધરાવતા વહેમીલા હેવાન પતિએ તેની પત્નીના માથામાં કુહાડીના ઘા ઝીંકી અને તેના બાદ ત્રણ બાળકોને ગામ નજીક આવેલા વૈડી ડેમમાં પાણીમાં ફેંકી દઈ હત્યા કરી છે. રમાડ ગામમાં ખેલાયેલા ખૂની ખેલમાં બનેલી કાળજું કંપાવી દેનાર ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચ્યો છે. ઇસરી પોલીસે ઘટનાસ્થળે પહોંચી ત્રણેય બાળકોની લાશને પીએમ માટે ખસેડી હત્યારા પિતાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પિતાએ ત્રણ બાળકોને ડેમમાં નાખી દીધા પછી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ હત્યારો પિતા સારવાર હેઠળ છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *