દેશમાં કોરોના સંક્રમિતોનો જે રીતે વધારો થઈ રહ્યો છે તે જાેતા એવું લાગે છે કે કદાચ કોરોના કેસો બાબતે ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે પહોંચી જશે….! ભારતમાં કોરોનાની બીજી લહેર છે પરંતુ નવા સ્વરૂપે ત્રાટકેલા કોરોના સ્ટ્રેને સંક્રમિતોનો આંક વાવાઝોડું ત્રાટકે તે રીતે વધારી દીધો છે અને આવા સમયે ચૂંટણીઓમાં વિવિધ પ્રકારે લોક ભીડ એકઠી કરતા સત્તાધારી નેતાઓ કોરોના ફેલાવવા માટે પ્રજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે… તેઓ આધુનિક શબ્દોમાં કહે છે કે લોકોની બેદરકારીને કારણે દેશમાં કોરોના કેસો વધી ગયા છે. ત્યારે જૂના રાજકીય પંડિતો અને જાણકારોની સવાલી ચર્ચા અનુસાર ગત વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૦માં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો તે સમયે કોરોના નાથવાની કોઈપણ દવા ઉપલબ્ધ ન હતી અને ડોક્ટરો પણ પોતપોતાની સમજ અનુસાર કોરોના દર્દીઓની સારવાર કરતા રહ્યા હતા. જાેકે જે કોરોના સંક્રમિતો અંદરથી મજબૂત હતા અને કોરોનાનો ડર ન હતો તેમજ તે સાથે લીંબુ યુક્ત ગરમ પાણી, નારિયેળ પાણી, સંતરા કે અનાનસનો જ ખોરાકમા ઉપયોગ કરવા સાથે ડોક્ટરની સારવાર લીધી તેઓ પૈકી લગભગ સંક્રમિતોએ કોરોનાને મહાત આપી હતી તેમજ ભારત સરકારના આયુષ મંત્રાલયના આયુર્વેદિક ઉકાળા અને દવાઓએ અનેકોને કોરોના સામેના જંગમાં વિજય અપાવ્યો હતો. ભારતમાં ૨૦૨૦ના ઓક્ટોબર મહિનાથી ફેબ્રુઆરીમાં કોરોના કેસ ઉપર કાબુ આવી ગયો હતો મતલબ નહીંવત કેસો રહ્યા હતા. ત્યારે ૨૦૨૦ના કોરોના મહામારીમાં પ્રજા અને સરકાર માટે ઊભી થયેલી મુશ્કેલીઓ અને પ્રશ્નોમાંથી કોઈએ કોઈ જ બોધપાઠ કેન્દ્રથી લઈને એક પણ રાજ્ય સરકારે લીધો ન હતો તેવો મત જાણકારો વ્યકત કરી રહ્યા છે….!!
જાણકારો અને નિવૃત રાજકિય પંડિતોની સવાલી ચર્ચા અનુસાર ૨૦૨૦નું વર્ષ ભારત સરકાર તથા રાજ્ય સરકારો માટે બોધપાઠ લેવા માટેનું વર્ષ હતું…. પરંતુ દેશની એક પણ સરકારે ભવિષ્યમાં કોરોના જેવી કોઈ આફત આવી પડે તો તેને પહોંચી વળવા આયોજન કરવા તરફ ધ્યાન જ આપ્યું નથી તે એક સ્વિકૃત હકીકત છે….! કોરોના વેક્સિન શોધાયા પછી તેના ભરોસે એક પણ સરકારે હેલ્થ ક્ષેત્રે કોઈ નવી વ્યવસ્થા નથી કરી… તો લોકો પણ રસી લીધા બાદ પોતાને હવે કાંઈ જ નહીં થાય તેવું માનવા લાગ્યા….જ્યારે રાજકીય ક્ષેત્રમા જે તે પક્ષો દેશમાં જે તે રાજ્યની કે સ્વરાજની ચૂંટણીઓમાં સત્તાપ્રાપ્તિમાં ડૂબી ગયા અને તેના પરિણામો દરેકની સામે જ છે….! આજે દેશમાં હોસ્પિટલોની કમી દેખાઈ આવે છે…તો ડૉક્ટરો સહિત મેડિકલ સ્ટાફની કમી દેખાઈ આવે છે, ટેસ્ટીગ માટેની નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી, આમ પ્રજા માટે સરકાર દ્વારા આધુનિક હોસ્પિટલો ઉભી કરવામાં આવી નથી્‌…જે તે રોગો કે દવાના જરૂરી ટેસ્ટીગ માટે જરૂરી ચકાસણી લેબોરેટરી ઊભી કરવામાં આવી નથી…અને આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસીએ તે રીતે એમ્બ્યુલન્સોની અછત પૂરી કરવાની નવી વાનો માટે ઓર્ડર આપવા પડે છે…. તો કોરોના કેર હોસ્પિટલો ઉભી કરવી પડે છે… અને હવે તો દેશમાંની દરેક કક્ષાની ખાનગી હોસ્પિટલોને કોરોના સંક્રમિતોની સારવાર કરવા માટે છૂટ આપવા ફરજ પડી છે….બીજી તરફ અનેક સ્મશાનગૃહો ખાતે માનવ મૃતદેહોની લાઈનો લાગી છે…મધ્ય પ્રદેશમાં તો કબ્રસ્તાનમા ખાડા ખોદવા જેસીબીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે…! આ બાબતે કોને દોષ આપીશું….? જાે લોકોને જ દોષી ગણવામાં આવે તો તેની સમજ્યા વિચાર્યા વગર મત આપીને નાસમજદારોને ચૂંટીને મોકલ્યા તે હોઈ શકે….!બાકી સનાતન સત્ય એ છે કે રાજાનુ જાેઈને પ્રજા તેના રસ્તે ચાલે છે…તેમનું અનુકરણ કરે છે…..! વંદે માતરમ્‌,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here